અમરેલી

જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને વાંકિયા સ્થિત સ્વામિનારાયણ વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લાના વાંકિયા મુકામે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજે બાલવાટિકાના ભૂલકાઓ સહિત ધો.૦૧, ધો. ૦૯ અને ધો.૧૧માં પ્રવેશપાત્ર ૧૩૪ વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ કરાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રકૃતિના સાનિધ્યમાં આવેલી હરિત પરિસર ધરાવતી સ્વામિનારાયણ વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણનું જતન કરવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યુ કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે ત્યારે ૨૦૪૭ના વિકસિત ભારતમાં આજના વિદ્યાર્થીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે. આજે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી જીવનમાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ તેમણે આપી હતી. તેમણે અભ્યાસનું મહત્ત્વ સમજાવી વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનો ઉપક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts