ભાવનગર

ઓર્ગેનિક શાકભાજીના ઉત્પાદનથી રૂ.૧ લાખથી વધુની કમાણી કરતાં ઘોઘાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા

મહિલાઓ આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પ્રગતિ સાધીને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે માત્ર છ ધોરણ સુધી અભ્યાસ કરેલાં ભાવનગરના ઘોઘા તાલુકાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા. શ્રીમતી શિલ્પાબેન મકવાણા પોતાની સફળતા વિશે વાત કરતાં કહે છે કે, મારી પાસે નજીવી કહી શકાય એવી પાંચ વીધા જમીન છે. જેમાં દુધી, મેથી, બીટ સહિત અલગ અલગ‌ ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર ઋતુ પ્રમાણે કરીએ છીએ, જેના અમને બજારમાં ઉંચા ભાવ મળે છે. આ ઉપરાંત અમારી પાસે ત્રણ જેટલાં પશુઓ છે. તેમાંથી દુધની આવક તો ખરી જ, પરંતુ પશુઓનું છાણ પણ અમારા માટે એટલું જ લાભદાયી બની રહે છે.
વધુમાં તેઓ કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં ડી.એ.પી અને યુરિયા જેવા રાસાયણિક ખાતર વગર પણ અઢળક ઉત્પાદન થાય છે, રસાયણમુક્ત ખેતીથી જમીન ફળદ્રુપ બને છે તે અંગેનું માર્ગદર્શન અમે મામસા ગામની ૭૦ જેટલી બહેનો આપી રહ્યાં છીએ. ઉત્થાન સંસ્થાના માર્ગદર્શન હેઠળ અમે કચ્છ, આણંદ, દિલ્હી
અને અમદાવાદ જેવા સ્થળોએ વર્મિકમ્પોસ્ટ અંગેની પણ તાલીમ‌ મેળવી છે. જેમાં અમને જવા- આવવા

સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. આમ‌, અમારી આવડત થકી હું‌ વાર્ષિક રૂ.૧‌ લાખથી વધુની આવક મેળવીને આત્મનિર્ભર બનવાની સાથે પરિવારને મદદરૂપ બની રહી છું, અમારા બાળકોને ઉત્તમ શિક્ષણ આપવામાં સહભાગી બની રહી છું. આ સિવાય અમે ઘરે જ જીવામૃત (જીવ અમૃત), બીજામૃત (બીજ અમૃત) અને ઘનજીવામૃત બનાવીએ છીએ. ૧૦ લીટર જીવામૃતના રૂ.૧૦૦, ૫ લીટરના રૂ.૫૦, દશ પાનની દવાના રૂ.૨૦ની એક લીટર વેચાણ કરીએ છીએ, એમાંથી અમને ચોખ્ખો નફો મળે છે. શિલ્પાબેન કહે છે કે, આજના આધુનિક યુગમાં તમે ગમે તેટલો ઉચ્ચ અભ્યાસ કર્યો હોય પરંતુ તમારામાં આવડત, કૌશલ્ય ન‌ હોય તો તેવા શિક્ષણનું કંઈ જ મહત્વ નથી. આમ, મામસાના શિલ્પાબેન જેવી અનેક બહેનો ભલે ઓછું ભણેલી છે, પરંતુ વિવિધ ક્ષેત્રે સફળતા હાંસલ કરીને અન્ય બહેનો માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે.

Related Posts