ગુજરાત

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શનનો લ્હાવોઃ પરિક્રમાનો દિવ્ય સંગમતા.૦૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થા થકી ગાંધીનગર જિલ્લાના ૧૯૫૦ જેટલા માઈ ભક્તોએ ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી
શકિત, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે ૫૧ શકિતપીઠ પરિક્રમાના ત્રણેય દિવસે શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી. માઇભકતો ૫૧ શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવી રહ્યા છે.

એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે ૨.૫ કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ.૬૨ કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ ૫૧ શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.
અંબાજી સર્વ શક્તિપીઠમાં જગતજનની આધશકિત અંબા માતાજીનું હ્‌દય બિરાજે છે. શ્રદ્ધાળુઓમાં અંબાજી શકિતપીઠનું અનોખું મહાત્મ્ય છે. અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરાયું છે.

ચાલુ વર્ષે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શકિતપીઠ પરિક્રમા મહોત્સવની પરંપરાને આગળ ધપાવતા તા.૦૯ થી ૧૧ ફેબ્રુઆરી સુધી ૫૧ શકિતપીઠની પરિક્રમાની શરુઆત થઈ હતી. આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ અનેક ભક્તોએ પ્રશાસનની સુંદર વ્યવસ્થા થકી આ પરિક્રમાનો લાભ મેળવેલ છે. તા.૦૯ ફેબ્રુઆરી થી ૧૧ ફેબ્રુઆરી સુધીના આ આયોજન દરમિયાન ગાંધીનગર મહાનગર પાલિકા ખાતેથી રોજની છ બસો થકી ૭૦૭ લોકોએ, દહેગામ ગ્રામ્ય માંથી રોજની એક બસ દ્વારા ૧૨૨ લોકો તથા દહેગામ નગરપાલિકા માંથી રોજની બે બસો મળી કુલ ૩૦૫ લોકો, માણસા ગ્રામ્ય કક્ષાએથી રોજની ત્રણ બસ ઉપડતા ૩૮૪ અને કલોલ ગ્રામ્ય માંથી રોજની બે બસો મુકાતા ૨૭૩ જેટલા તથા કલોલ નગરપાલિકામાં રોજની એક બસ દ્વારા ૧૫૯ લોકો મળી ત્રણ દિવસમાં જિલ્લાના ૧૯૫૦ જેટલા લોકોએ આ પરિક્રમાનો લાભ મેળવ્યો હતો અને શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Related Posts