અમરેલી

સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાન આશ્રમ દ્વારા શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ની વૈદિક પરંપરા થી ઉજવણી કરવામાં આવી

ધાર્મિક આસ્થા, આરોગ્ય સેવા અને અબોલ જીવો પ્રત્યે ની કરુણા નો અદ્ભુત ત્રિવેણી સંગમ

સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક આસ્થા, આરોગ્ય સેવા અને અબોલ જીવો પ્રત્યે કરુણા નો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો અને સેવાભાવી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મહોત્સવની ઉજવણી સંપૂર્ણપણે વૈદિક પરંપરા અનૂસાર કરવામાં આવી હતી, જેણે આધ્યાત્મિક વાતાવરણને વધુ ગહન બનાવ્યું હતું. મહોત્સવ દરમિયાન, એક્યુપ્રેશર નિદાન કેમ્પ તેમજ કુદરતી ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ચિકિત્સક શ્રી ગોપાલભાઈ ભરખડા અને શ્રી હીનાબેન ભરખડા એ નિ:સ્વાર્થ ભાવે સેવાઓ આપી હતી, જેનો મોટી સંખ્યામાં દર્દી નારાયણો એ લાભ લીધો હતો. લોકોએ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન કરાવીને કુદરતી ઉપચાર વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, આશ્રમ દ્વારા ધોમધખતા તાપમાં અબોલ જીવોને રાહત પહોંચાડવા માટે વિનામૂલ્યે પક્ષીઓ માટે રહેવા માળા અને પાણી માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કરુણામય પહેલની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના આ ઉત્તમ કાર્ય માં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ કેમ્પની વ્યવસ્થા મેહુલભાઈ વ્યાસ દ્વારા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી. સાયંકાલીન શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય આરતીમાં વિશાળ સંખ્યામાં ભક્તો દિવ્ય દર્શન માટે જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ, હનુમાનજી દાદાનો મહાપ્રસાદ સંતો, ભક્તો, ભાઈઓ, બહેનો અને નાના નાના બાળકોએ હજારોની સંખ્યામાં એક સાથે બેસીને ગ્રહણ કર્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન ચાલતા હવનનો પણ લાભ લીધો હતો. સાથોસાથ બહોળી સંખ્યામાં ભાવિકોએ તાત્કાલિક હનુમાનજી મહારાજના સર્વે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ આશ્રમમાં ચેતન ધૂણા ના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ, શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા શ્રી હનુમાનજી મહારાજ ના પ્રાગટ્ય મહોત્સવ ની ઉજવણી ધાર્મિક આસ્થા, આરોગ્ય સેવા અને અબોલ જીવો પ્રત્યેની કરુણા ના ભવ્ય ત્રિવેણી સંગમ સમાન રહી હતી. સમગ્ર વર્ષ દરમિયાન આશ્રમ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના દ્વારા લોકોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ દાતાશ્રીઓ તેમજ સૌ ભાવિકોનો તેમજ સ્વયંસેવકોનો તાત્કાલિક હનુમાનજી આશ્રમના મહંત શ્રી હનુમાન દાસ બાપુ ગુરુ રામ સુંદર દાસ બાપુ દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. આ મહોત્સવ ધાર્મિકતા અને વૈદિક પરંપરાથી ઉજવાયો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts