તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજીત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓને પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાર શપથ ગ્રહણ કરાવવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૫મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી “Nothing Like Voting, I Vote For Sure” ની થીમ પર કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભારતના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી એ.કે. જોતિ, રાજ્ય ચૂંટણી પંચના પૂર્વ ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર શ્રી એસ. મુરલીક્રિશ્ન, ડિપાર્ટમેન્ટ ઑફ ગુજરાત સ્ટેટ ટેક્ષના સ્પેશ્યલ કમિશનર શ્રીમતી પી. ભારતી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી એમ. કે. દવે તથા રાજ્યના ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. રાજ્યના તમામ નાગરિકો રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સવારે ૧૧.૦૦ કલાકથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in, ફેસબુક પેજ CEO Gujarat તથા યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@CEOGujaratState પર નિહાળી શકશે.
Recent Comments