આજરોજ અમરેલીના વરસડા મુકામે જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ‘ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા‘ યોજનાનું લોકાર્પણ કરવામા આવ્યું હતું. આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરીયા અને સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, આ પાણી પુરવઠા યોજના માટે અંદાજે રૂ.૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આર.સી.સી સંપ, વોટર ફિલ્ટર પ્લાન્ટ, પંપ હાઉસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના સાકાર થતાં અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ ૫૦ ગામડાઓને શુદ્ધ પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. સાથે વરસડા સ્થિત હયાત તળાવનું અંદાજે રૂ. ૧૯ લાખના ખર્ચે રિનોવશન કામગીરી હાથ ધરવામાં આવશે. રાજસ્વી મહાનુભાવોના હસ્તે તળાવના રિનોવેશન માટે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં કોઈએ કલ્પના ન કરી હોય તે પ્રકારે વિકાસની કામગીરી તેજ ગતિથી આગળ ધપી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં બદલાવ આવે તે પ્રકારે વિકાસની કેડી કંડારી છે. રાજ્ય સરકાર ‘પાણીદાર‘ વિકાસનું સપનું સાકાર કરી રહી છે. એક સમય હતો ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા હતી. હવે, સમય બદલાયો અને ફિલ્ટર પ્લાન્ટ મારફત છેવાડાના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહયું છે.
ઊર્જા રાજ્યમંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે,ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. નર્મદા નદીનું પાણી ઘર ઘર સુધી પહોંચી રહયું છે. ‘જલ જીવન મિશન‘ અંતર્ગત ‘હર ઘર જલ‘ના સપનાઓ સાકાર થયા છે.
વરસડા મુકામે તાલુકા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પારદર્શિતા સાથેની સરકારી વ્યવસ્થા થકી સરકારી સેવાઓ આજે છેવાડાના લાભાર્થી સુધી પહોંચી રહી છે.
વરસડા મુકામે ‘ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા‘ યોજનાના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, અન્ય રાજસ્વી હોદ્દેદારશ્રીઓ,જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, વરસડા સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments