અમરેલી

સદરહુ પ્લોટની ફાળવણી કેન્દ્ર કે રાજ્ય સરકારના પ્લોટવિહોણા લાભાર્થી માટે અનામત રાખવા લેન્ડ કમિટીનો નિર્ણય

અમરેલીતા.૧૩ મે,૨૦૨૫ (મંગળવાર) પરપ્રાંતિય વ્યક્તિઓની ઓળખ અને તપાસ અન્વયે ધારી પોલીસ દ્વારા ગત તા.૦૧.૦૫.૨૦૨૫ના રોજ કાયદેસરની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ધારી નજીકના હિમખીમડીપરા વિસ્તારમાં વસતા અને અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહીશ મહોમંદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ કરવામાં આવતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નંબર ૧૨/૨૦૨૫ તા. ૦૧.૦૫.૨૦૨૫થી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હિમખીમડીપરા ખાતે આવેલા પ્લોટ નંબર ૬૬, વર્ષ ૧૯૯૦માં ભીખુભાઈ અમીભાઈ મોગલને રહેણાંક હેતુ અર્થે ફાળવવામાં આવ્યો હતો, જે પ્લોટ ભીખુભાઈએ મદ્રેસાને દાનમાં આપ્યો હતો.

હાલમાં આ તે મિલ્કતનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થતો ન હોય અને મદ્રેસા તરીકે થતો હોય જેથી તે પ્લોટ જે શરતોને આધીન ફાળવવામાં આવેલ હતો તે પૈકી શરત ૧, ૪ અને ૬નો ભંગ થતો હોવાનું જણાયું હતું. જેથી તે પ્લોટમાં શરતભંગ ગણી તે પ્લોટ સરકાર સદરે લેવા અને તે પ્લોટ રાજ્ય કે કેન્દ્ર સરકારના પ્લોટ વિહોણા લાભાર્થીને ફાળવવા માટે અનામત રાખવા લેન્ડ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં હાલ મદ્રાસા એ દિનેમહમ્મદીનું મકાન બનેલું હતું. આ મકાનનું સ્ટ્રક્ચર પ્લોટની ફાળવણીની શરતભંગ કરીને બનાવવામાં આવ્યું હતું. ગેરકાયદેસર સ્ટ્રક્ચર બાબતે ધારી પ્રાંત અધિકારી શ્રી, ધારી તાલુકા મામલતદાર શ્રી સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં અને કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related Posts