રાષ્ટ્રીય

નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માંગ સાથે હજારો લોકો દ્વારા રસ્તા પર પ્રદર્શન

પાડોશી દેશ નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કરી રહી છે. જેને પગલે નેપાળના અનેક વિસ્તારોમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો સાથે જ રબરની ગોળીઓ ચલાવી હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે નેપાળ સેનાને રસ્તા પર ઉતારવામાં આવી છે. આ ઘર્ષણમાં બેનાં મોત જ્યારે ૩૦ને ઇજા થઇ છે.
હજારો પ્રદર્શનકારીઓએ નેપાળનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને પૂર્વ રાજા ગ્યાનેંદ્ર શાહની તસવીર સાથે સાથે રાજા આવો દેશ બચાવો, ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ, હમે રાજાશાહી વાપસ ચાહીએ જેવા નારા લગાવ્યા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ હિંસા ભડકાવનારા અનેક લોકોની અટકાયત કરાઇ છે જ્યારે કરફ્યૂના ઉલ્લંઘન બદલ અનેક યુવાઓની ધરપકડ પણ કરાઇ છે. વર્ષ ૨૦૦૮માં નેપાળ સરકારે સંસદમાં કાયદો પસાર કરીને રાજાશાહીને ખતમ કરી નાખી હતી. જેને પગલે નેપાળ ભારતની જેમ એક લોકશાહી શાસનવાળો દેશ બની ગયો હતો. એવામાં હવે હાલની સરકારના ભ્રષ્ટાચાર અને નપળા શાસનને કારણે ફરી રાજાશાહીની માગણી તિવ્ર બની છે.
આ મામલે નેપાળની સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર પ્રદર્શનકારીઓએ સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જવાબમાં પોલીસે આંસુ ગેસનો મારો ચલાવ્યો અને રબરની ગોળીઓ ચલાવી હતી જેનાથી પ્રદર્શનકારીઓ વધુ ભડકી ગયા હતા અને બિઝનેસ શોપિંગ મોલ, રાજકીય પક્ષોની ઓફિસો, મીડિયા હાઉસ વગેરેમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ૧૨થી વધુ પોલીસ જવાનો ઘવાયા હતા. હાલ જે પ્રદર્શન ચાલી રહ્યું છે તેમાં નેપાળના કેટલાક રાજાશાહી પરિવાર પણ જાેડાયેલા છે.

Follow Me:

Related Posts