અમરેલી

મોડલ ફાર્મના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિકકૃષિના લાભોની જાણકારી પ્રત્યક્ષ રીતે મળી રહે છે

અમરેલીતા.૧૫એપ્રિલ ૨૦૨૫ (મંગળવાર)  અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પ્રાકૃતિક કૃષિના ૨૬૦ મોડલ ફાર્મ બની ચૂક્યા છે, પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ મોડલ ફાર્મ એક રીતે પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ પણ બન્યા છે. પ્રાકૃતિક ખેતીના આદર્શોને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે.

અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ ખેડૂતોને આ મોડલ ફાર્મની વખતોવખત વિઝીટ કરાવવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી ન કરતા હોય તેવા ખેડૂતોને પણ આ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

આ સંદર્ભે આત્મા પ્રોજેકટ અમરેલી જિલ્લા નાયબ નિયામક શ્રી મહેશ ઝીડે કહે છે કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રત્યક્ષ લાભોની જાણકારી મળી રહે અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે તે માટે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ મોડલ ફાર્મની વિઝીટ કરાવવામાં આવે છે. આ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશેના ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન મળે છે. અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ અભિયાન તેજીથી આગળ વધી રહ્યું છે અને હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પેદાશો થકી ઘણી સારી આવક પણ મેળવી રહ્યાં છે.

મોડલ ફાર્મનો દરજ્જો પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભ છે તેવા જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ સહિત પ્રાકૃતિક કૃષિ માપદંડો પર ખરાં ઉતરે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયોનું પાલન પોષણ કરતા હોય એટલે કે જે ખેડૂતો ગાય રાખતા હોય તેમના તેમના ફાર્મને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવે છે.

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જરુરી માર્ગદર્શન આપવાની સાથે ફિલ્ડ વિઝીટ પણ કરવામાં આવે છે. આમ, જિલ્લા પ્રાકૃતિક ખેતી માટે સાનુકૂળ પરિબળો સર્જાયા છે, તેમ આત્મા પ્રોજેકટ અમરેલી જિલ્લા નાયબ નિયામક શ્રી મહેશ ઝીડે જણાવ્યુ હતુ.

જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને આગળ વધારવા માટે આત્મા પ્રોજેક્ટના શ્રી દિલીપ ચાવડા અને આત્મા ટીમ દ્વારા ખેડૂતોની મુલાકાત લેવામાં આવી રહી છે, ખેડૂતોની વચ્ચે જઈ તેમને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.

જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા

રુ.૩૫.૧૦ લાખની સહાય ચૂકવવામાં આવી

ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ વિકસાવવા માટે ખેડૂતોને રુ.૧૩,૫૦૦ની સહાય પણ આપવામાં આવી રહી છે, આ સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઘન જીવામૃત બનાવવા માટે પાકુ સ્ટ્રક્ચર બેરલ ડોલ વગેરે ખરીદવા માટે આપવામાં આવે છે.

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૨૬૦ મોડલ ફાર્મ તૈયાર થઈ ચૂક્યા છે એટલે ૨૬૦ ખેડૂતોને રુ.૩૫.૧૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન સતત આપવામાં આવી રહ્યું છે.

Related Posts