બીજીવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેઓ તેમના નિર્ણયોને લઈને દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યા છે. તો એવામાં અમેરિકામાં હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ સહિત વિશ્વના ગ્રીન કાર્ડ ધારકોનું ભવિષ્ય અંધારામાં જાય તેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ ધારકોને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, જો તેઓ કાયદામાં નહી રહે તો તેમની પરમેનન્ટ રેસિડેન્સી છીનવી લેવામાં આવશે. યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ દ્વારા આ ઈન્ફોર્મેશન આપવામાં આવી હતી.
USCISએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, જો કોઈ વિદેશી નાગરિક કાયદાનો ભંગ કરે છે, તો તેમના ગ્રીન કાર્ડ અને વિઝા રદ કરવામાં આવશે. આ આદેશ ટ્રમ્પ સરકારના ‘કેચ એન્ડ રિવોક પોલિસી’ હેઠળ આપવામાં આવ્યો છે. જેમાં ગ્રીન કાર્ડ હોલ્ડર પર મોટાપાયે કાર્યવાહીની જોગવાઈ છે. અમેરિકાના વિઝા અથવા ગ્રીન કાર્ડ મેળવવું એ એક વિશેષાધિકાર છે. આ વિશેષાધિકાર સાથે અમારા કાયદા અને મૂલ્યોનું પણ સન્માન થવુ જોઈએ. જો તમે હિંસાને સમર્થન આપો છો, આતંકવાદી ગતિવિધિને સમર્થન આપો છો, અથવા બીજાને આમ કરવા પ્રોત્સાહિત કરો છો, તો તમે અમેરિકામાં રહેવા માટે લાયક નથી.
વધુમાં જણાવ્યું હતું કે, યુએસ ઈમિગ્રેશન ઓથોરિટી વિઝા અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સના ડોક્યુમેન્ટ્સ જાહેર થયા બાદ તેની સમીક્ષા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સાથે મળી કામ કરી રહ્યું છે. આ સતર્કતા અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવા જરૂરી છે. કાયદો તોડવા પર તમારૂ ગ્રીન કાર્ડ અને વિઝા રદ થશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ નીતિને સમર્થન આપ્યું છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ નીતિને સમર્થન આપતાં કહ્યું કે, હવે અમેરિકાની ઉદારતાનો દુરૂપયોગ કરવાનો યુગ સમાપ્ત થયો છે. નોંધનીય છે કે, અમેરિકાના આ પગલાંથી કાયદેસર રહેતાં વિદેશીઓની ચિંતા વધી છે. ખાસ કરીને ભારતીય નાગરિકોની. વર્ષો સુધી રાહ જોયા બાદ પરમિનન્ટ રેસિડન્સનું સ્ટેટ્સ મેળવનારા લોકોમાં ભય વ્યાપી રહ્યો છે કે, નજીવા કાયદાકીય મુદ્દાઓ પર તેમનું આ સ્ટેટ્સ છીનવાઈ શકે છે.
Recent Comments