રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ડિજિલોકર મારફતે સ્પોર્ટસ સર્ટિફિકેટ આપવાનું લોકાર્પણ કર્યું

મોદી સરકારે હાથ ધરેલી તમામ રમતગમતની પહેલો એથ્લેટ-કેન્દ્રિત છે – ડો. માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ડિજિલોકર મારફતે રમતગમતના પ્રમાણપત્રો આપવાનો શુભારંભ કરાવ્યો હતો. લોકાર્પણ પૂર્વે તેમણે આ જ સ્થળે નેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ રિસર્ચ (એનસીએસએસઆર)નું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડૉ. માંડવિયાએ રમતવીરોના કલ્યાણ માટે સરકારની કટિબદ્ધતાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, મોદી સરકારે હાથ ધરેલી તમામ રમતગમતની પહેલો એથ્લેટ- કેન્દ્રિત છે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ ૨૦૨૪, ડ્રાફ્ટ નેશનલ સ્પોર્ટ્સ પોલિસી ૨૦૨૪ અને નેશનલ કોડ અગેઇન્સ્ટ એજ ફ્રોડ ઇન સ્પોર્ટ્સ (એનસીએએએએફએસ) ૨૦૨૫ના ડ્રાફ્ટનું ઉદાહરણ ટાંકીને મંત્રીએ જણાવ્યું હતું કે, આ ભારતીય સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને સુશાસન સુનિશ્ચિત કરવાના સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.
તેમણે જાહેરાત કરી હતી કે, ડિજિલોકર મારફતે ઇશ્યૂ કરવામાં આવેલા સ્પોર્ટ્સ સર્ટિફિકેટને ટૂંક સમયમાં નેશનલ સ્પોર્ટ્સ રિપોઝિટરી સિસ્ટમ (એનએસઆરએસ) સાથે સંકલિત કરવામાં આવશે. જે સરકારી રોકડ પુરસ્કારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે રમતવીરોનાં બેંક ખાતાઓમાં આપમેળે વહેંચવા સક્ષમ બનાવશે, જેથી કાગળની અરજીઓની જરૂરિયાત દૂર થશે.
“ભૂતકાળમાં જે થતું હતું તે એ હતું કે રમતવીરને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચંદ્રકો જીત્યા પછી સરકારી રોકડ પુરસ્કારો માટે અરજી કરવી પડતી હતી. હું નથી ઇચ્છતો કે રમતવીરોને તેમની સારી રીતે લાયક ઇનામ મેળવવામાં સહન કરવું પડે અથવા કોઈ અવરોધોનો સામનો કરવો પડે. એટલે, આ પહેલો તેને સરળ બનાવવા માટે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જાે દરેક વ્યક્તિએ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતતા જાેયો છે, તો તેમને શા માટે અરજી કરવાની જરૂર છે.
ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડતા, ડો. માંડવિયાએ ૨૦૩૬ના ઓલિમ્પિકની યજમાની માટે ભારતની બિડને ટેકો આપવા માટે અમલમાં મૂકવામાં આવેલા વ્યાપક રોડમેપ વિશે વાત કરી હતી. તેમણે વર્ષ ૨૦૩૦માં રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન કરવામાં ભારતની રુચિનો પુનરોચ્ચાર કર્યો હતો.
નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (એનએસએફ)ને સુશાસન અને રમતવીરોના કલ્યાણને પ્રાથમિકતા આપવા માટે અપીલ કરતા કેન્દ્રીય મંત્રીએ રમતવીરો, ફેડરેશનો અને સરકાર તરફથી રમતગમતની પ્રણાલીને મજબૂત કરવા સંયુક્ત પ્રયાસો કરવા અપીલ કરી હતી. આ દિશામાં એક કદમ તરીકે તેમણે જાહેરાત કરી હતી કે, રસ ધરાવતા એનએસએફને દિલ્હીના આઈજી સ્ટેડિયમમાં ઓફિસ સ્પેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડો. માંડવિયાએ આગામી સમયમાં ‘વન સ્પોર્ટ-વન કોર્પોરેટ‘ નીતિ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ્ય ફેડરેશનને હેન્ડહોલ્ડિંગની સુવિધા આપવાનો અને રમતગમતના વિકાસ માટે નાણાકીય સહાય આકર્ષવાનો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા રમતગમતની શાખાઓ માટે ઓલિમ્પિક તાલીમ કેન્દ્રોને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ હેઠળ વિકસાવવામાં આવશે.
એનસીએસએસઆરના ઉદ્ઘાટન પ્રસંગે ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, આ કેન્દ્ર ઉચ્ચ સ્તરીય સંશોધન, શિક્ષણ અને નવીનતાના કેન્દ્ર તરીકે કામ કરશે, જેનો ઉદ્દેશ એલિટ એથ્લેટનો દેખાવ વધારવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારની પહેલો વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનાં નેતૃત્વમાં ભારતનાં લાંબા ગાળાનાં રમતગમતનાં વિઝનને પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ડૉ. માંડવિયાએ સમાપન કરતાં કહ્યું હતું કે, “ચાલો આપણે બધાં સાથે મળીને નવા ભારત માટે મજબૂત રમતગમતની સંસ્કૃતિનું નિર્માણ કરીએ.”
સરકારની આ પહેલની પ્રશંસા કરતા ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર વિજેતા મીરાબાઈ ચાનુએ કહ્યું, “ખેલાડીઓ માટે આ ખરેખર સારી યોજના છે. ડિજિલોકર દ્વારા રમતગમતના પ્રમાણપત્રો આપવાથી મારા જેવા બધા રમતવીરોની ઘણી તાણ દૂર થશે. ઘણી વખત રમતવીરોને કેટલાક દસ્તાવેજાે – સરકારી નોકરીઓ, વિઝા વગેરે માટે – ઘરે પાછા ફરવું પડે છે કારણ કે આપણે તેને હંમેશાં આપણી સાથે રાખતા નથી. હું આ પહેલ માટે તમામ ખેલાડીઓ વતી અમારા રમતગમત મંત્રીનો આભાર માનું છું.”

Related Posts