રવિવારે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે સવારે 7 વાગ્યે પાલિતાણામાં સ્વચ્છતા કર્મચારીઓ, NSS (નેશનલ સર્વિસ સ્કીમ) અને My Bharatના યુવાનો સાથે મળીને ‘Fight Obesity’ (સ્થૂળતા સામે લડત)નાં સંદેશ સાથે 27મા ‘સંડે ઓન સાયકલ’ કાર્યક્રમમાં જોડાયા હતા. આ સાયકલ યાત્રા પાલિતાણા શહેરમાં બજરંગદાસ બાપા ચોકથી શરૂ થઈને સરવૈયા ફાર્મ ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા કર્મચારીઓ, નહેરૂ યુવા કેન્દ્ર, NSS અને માય ભારતનાં 300થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.
સંડે ઓન સાયકલ અંતર્ગત આજે સમગ્ર દેશમાં 6000થી વધુ સ્થળોએ સ્વચ્છતા સેનાનીઓ સાથે સનડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, “સંડે ઓન સાયકલ સ્વચ્છતા સેનાનીઓ સાથે યોજી અમે સંદેશ આપવા માગીએ છીએ કે, સાયકલ એ નાના માણસનું વ્હીકલ ન રહેતા આપણા સ્વાસ્થ્યના રક્ષક તરીકે તેને જોવી જોઈએ. આપણી ફિટનેસ તરીકે તેને જોઈએ. વિશ્વમાં કોઈ નાની હોય કે મોટી વ્યક્તિ હોય તે સાયકલ પર જ પોતાના કામે જાય અને પોતાની જાતને ફિટ રાખવાનો પ્રયાસ કરે. ચાલો આજે સનડે ઓન સાયકલમાં જોડાઈને ફિટ રહીએ, સ્વસ્થ રહીએ, દેશને સમૃદ્ધ બનાવીએ અને મોદીજીની ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને સફળ કરીએ.”
સાયકલ યાત્રા બાદ, ડૉ. માંડવિયાએ પાલિતાણાના નોંઘણવદર, નેસડી, હણોલ, આંકોલાળી, લોઈંચડા અને સેંજળીયા ગામોમાં વૃક્ષારોપણ કર્યું હતું.
નોંઘણવદર ગામે વૃક્ષારોપણ પહેલા ગામનાં સૈનિક જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સ્થાનિક યુવાનોને વાવેલા વૃક્ષોની જાળવણી કરવા માટે પ્રેરણા આપી હતી.
ડૉ. માંડવિયાનાં સમગ્ર પ્રવાસ દરમિયાન ખૂબ જ ઉર્જાવાન વાતાવરણ જોવા મળ્યું હતું અને સ્થાનિક લોકોએ ઠેર ઠેર મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Recent Comments