દેશના મહાન સપૂત અને બિસ્માર્ક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના પાવન અવસરે રાષ્ટ્રીય એકતાના અનેરા સંદેશ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી-કુંકાવાવ-વડિયા વિધાનસભા મત વિસ્તારમાં ભવ્ય યુનિટી માર્ચ – પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
અમરેલી સ્થિત સરદાર સર્કલ (સેન્ટર પોઈન્ટ) થી રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને યુનિટી માર્ચ-પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકાર, સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાની પ્રેરણ આપી છે. “આપણે સૌ ભારતીય છીએ અને ભારત આપણું છે. આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું.” – સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં “સરદાર @૧૫૦: યુનિટી માર્ચ” યોજાઈ રહી છે.
યુનિટી માર્ચ દરમિયાન રૂટ મુજબ વિવિધ ગામ ખાતે ગ્રામજનોએ પદયાત્રાનું ઢોલ નગારા સાથે હર્ષભેર સ્વાગત કર્યું હતું. પદયાત્રામાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકીયા સહિતના પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ સહભાગી બન્યા હતા. યુનિટી-માર્ચ પદયાત્રા રૂટ પર નૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પદયાત્રાનું મોટા માચીયાળા મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પદયાત્રિકોને સંબોધન કરતા જણાવ્યું કે, ભારત દેશ આઝાદ થયો ત્યારે નાના મોટા ૫૬૨ જેટલા રજવાડાઓને સરદાર સાહેબે એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. લોહપુરુષ શ્રી સરદાર પટેલે જૂનાગઢ જોડાણ મુદ્દે ત્યાંના નવાબને ઝુકાવીને અને ભારતસંઘમાં જૂનાગઢનું આન-બાન-શાન સાથે જોડાણ કર્યું હતું.
“એક ભારત-શ્રેષ્ઠ ભારત” અને “જય સરદાર”ના નારાઓની ગૂંજ સાથે યુનિટી માર્ચ-પદયાત્રા સમાપન સ્થળ શેડુભાર ખાતે પહોંચી હતી. અહીં ગ્રામજનોએ ઢોલ નગારા સાથે પદયાત્રાનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. કૈલાસ મુક્તિધામ પરિસરમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો અનેરો સંદેશ પ્રસરાવ્યો હતો.
અમરેલી ખાતે આયોજિત યુનિટી માર્ચ-પદયાત્રામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, અમરેલીના વિવિધ સમાજના આગેવાનો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના વિદ્યાર્થીઓ – રમતવીરો, શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments