ગુજરાત

આપણા વિસ્તારમાં પાણી સારૂ છે પરંતુ તેનો સંચય પણ જરૂરી છે. પાણી બચાવવાને આપણે સ્વભાવ બનાવવો જોઇએ : જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારી જિલ્લાના સાંસદશ્રી સી.આર. પાટિલના અધ્યક્ષસ્થાને આજે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત આયોજન હેઠળ “શહેરી વિકાસ વર્ષ–2025” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્મળ ગુજરાત 2.0 અને જળ વ્યવસ્થાપન અંતર્ગત તેમજ “Catch the Rain” અભિયાન અંતર્ગત અનેક જનજાગૃતિ પ્રવૃત્તિઓ અંગેનો સરપંચશ્રીઓનો તાલીમ વર્કશોપ યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લો દરેક કામ કે પહેલ ઉપાડવામાં આગળ રહ્યો છે. આદર્શ ગામ હોય કે ધુમાડા રહિત જિલ્લો, નવસારી હંમેશાથી પહેલા ક્રમે આવે છે.

મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યું હતું કે કોઇ પણ શહેરનો વિકાસ લોકભાગીદારી વગર શક્ય નથી. જેથી નવસારી જિલ્લો હંમેશા પ્રથમ હરોળમાં રહે તે માટે આપણે સૌ સંકલ્પબધ્ધ થઇએ. નવસારીમાં ખૂબ જ સારી ગુણવત્તાયુક્ત કામગીરી થઇ  છે અને આજે  રૂપિયા 185 કરોડના વિવિધ ખાતમુહુર્ત કરેલ કામો થકી આગામી વર્ષોમાં પણ ઉચ્ચ કક્ષાની કામગીરીનું દેખાશે.

“આપણા વિસ્તારમાં પાણી સારૂ છે. પરંતુ તેનો સંચય પણ ખૂબ જ જરૂરી છે. પાણી બચાવવાને આપણે સ્વભાવ બનાવવો જોઇએ તથા બાળકો, યુવાનોને પણ આ અંગે જાગૃત કરવા જોઇએ. આ નાની બાબત છે, પણ તેની અસર આવનારરી પેઢી માટે ખૂબ મોટી સાબીત થશે.” એમ પણ તેમણે કહ્યું હતું.

મંત્રી શ્રીએ નવસારીમાં આ વર્ષે 8 હજાર જેટલા જળસંચયના કામો થયાની માહિતી આપતા દરેક સરપંચને પોતાના ગામમા એક વિઘા માટે એક રેઇન વોટર હાર્વેસ્ટ પોજેક્ટ બનાવવા અપીલ કરી હતી. તેમણે સરપંચશ્રીઓને પ્રેરિત કરતા ઉમેર્યું હતું કે, દરેક સરપંચ પોતાના ગામના મુખ્યમંત્રી છે. એક મુખ્યમંત્રી જે રીતે રાજ્યનો વહિવટ સંભાળે તેવી જ રીતે દરેક સરપંચ પોતાના ગામની જવાબદારી ઉપાડી લે. તેમણે સરપંચશ્રીઓને ગામમા કઇ-કઇ જરૂરીયાત છે અને કઇ-કઇ સુવિધા છે તેનો સર્વે કરવા અને તે પ્રમાણે યોગ્ય આયોજન કરી સરકાર અને જિલ્લા તંત્રને રજુ કરવા સુચના આપી હતી. 

વધુમાં નવસારી જિલ્લાની વિશેષતાઓને અન્ય નાગરિકો સુધી પહોંચાડવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ નવસારી જિલ્લા તંત્રની કામગીરીની સરાહના કરી, ‘સંસ્કારી નગરી’ સહિત ‘સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી’ના સુત્રને સાકાર કરવા તંત્રનો સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા  UDY ઇવેન્ટ બુક લોન્ચ, નવસારી હેરિટેજ અને ટુરિઝમ પહેલનું લોન્ચિંગ, નવસારી ફ્લડ પ્લાન બુક લોન્ચ તથા 185 કરોડના વિવિધ કામોનું ખાતમુહુર્ત લોકાર્પણ તથા મહાનગરપાલિકાના વિવિધ સાધન સંસાધનોનું લોકાર્પણ કરાયું હતું. 

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, શ્રી આર.સી. પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકા કમીશ્નર શ્રી દેવ ચૌધરી,  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ સહિતનાં અધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts