અમરેલી, તા.૦૭ મે, ૨૦૨૫ (બુધવાર) અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ (સી.ઓ.એન.એફ. જી.એન.એફ.એસ.યુ) અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ‘કૃષિ સખી‘ તાલીમાર્થી બહેનો માટે એક મુલાકાત ગોઠવવામાં આવી હતી, આ મુલાકાતમાં અમરેલીના આજુબાજુના ગામોમાંથી ૩૦ બહેનોએ ભાગ લીધો હતો.
અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે, કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર સમજણ અને માર્ગદર્શન આપ્યું હતું, આજના સમયમાં પ્રાકૃતિક ખેતી શા માટે જરુરી છે? પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી? તેમજ ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં આવે તે વાક્યને સાર્થક કરવા જણાવ્યુ હતુ.
પ્રાકૃતિક ખેતીને લગતી મુલાકાત દરમિયાન, કૃષિ સખી એફએમટી ક્લસ્ટરની બહેનોએ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે આવેલા પ્રાકૃતિક ફાર્મને નિહાળી મુખ્ય પાક તથા મિશ્ર પાક વિશે વિગતો લીધી હતી. તલ, મિલેટ્સ, ડુંગળી, મગ, ખરસાણી, વાલ, તલ, ગુવાર, સૂર્યમુખી સહિત મુખ્ય અને મિશ્ર પાકો સહિત વિશેષ વિગતો મેળવી હતી.
સમગ્ર મુલાકાતનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વડા શ્રીમતી મિનાક્ષીબેન બારૈયા, અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખ, કેમ્પસના વિષય નિષ્ણાંત શ્રી ડૉ. નિલેષભાઈ કાછડિયા, શ્રી બી. ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ, તેમ અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments