બાવળિયાળી ઠાકરધામમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવત કથામાં સૌને ભાવભેર નચાવ્યાં
ઈશ્વરિયા મંગળવાર તા.૧૮-૩-૨૦૨૫
( મૂકેશ પંડિત )
બાવળિયાળી સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર તીર્થ સ્થાનમાં શ્રીમદ ભાગવત કથા ગાન કરતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે. ઠાકરધામમાં શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથામાં તેઓએ સૌને ભાવભેર નચાવ્યાં.
ભજન અને ભોજન સાથે સનાતન સત્સંગનો લાભ બાવળિયાળી સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર તીર્થ સ્થાનમાં ભાવિકો મોટી સંખ્યામાં લઈ રહ્યાં છે.
ધોલેરા અને ભાવનગર વચ્ચે આવેલાં ઠાકરધામ બાવળિયાળીમાં શ્રીમદ ભાગવત કથા ગાન કરતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ મહાત્મ્ય અને મંગલાચરણ મહિમા વર્ણન સાથે પ્રારંભનાં ‘સત્યમ્ પરમ ધીમહિ…’ શ્લોક ભાવાર્થ સમજાવી પ્રારંભ અને અંતમાં સત્ય જ તત્ત્વ રહેલું છે. તેઓએ જણાવ્યું કે, ચરિત્ર, ગીત, સ્તુતિ, ઉપદેશ અને રૂપક આ પાંચ તત્ત્વો ભાગવતમાં છે.
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આ કથા સ્થાન માટે જમીન આપનાર અને પાક નહિ લેનાર ગામ તથા સેવાભાવી પરિવારને બિરદાવી કહ્યું જે, આ ખેતરમાં કથારૂપે બીજ વવાયા છે, જેનો પાક સંસ્કાર રૂપે ભરપૂર મળશે.
કથા પ્રવાહ દરમિયાન પ્રસ્થાનત્રયી સાથેનાં તત્ત્વદર્શન ગ્રંથ સાહિત્યનાં ઉલ્લેખ કરી આપણું સનાતન અધ્યાત્મ જગત સમૃધ્ધ હોવાનો અહોભાવ વ્યક્ત કર્યો. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાન સાથે સૌને ભાવભેર નચાવ્યાં.
મહંત શ્રી રામબાપુનાં સાનિધ્ય સાથે ઠાકરધામમાં વાતાનુકૂલિત ફુવારા સાથેનાં વિશાળ કથા મંડપમાં મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓ ઉમટી રહ્યાં છે અને કથામૃત સાથે ભોજન પ્રસાદ લાભ લઈ રહ્યાં છે.
ભાગવત કથામાં શ્રી મૂક્તાનંદજી મહારાજ, શ્રી લલિતશરણજી મહારાજ, શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ, શ્રી ઝીણારામજી મહારાજ, શ્રી આત્માનંદ સરસ્વતીજી, શ્રી નિર્મળાબા, શ્રી રૂપલ માતાજી, શ્રી ઝરણા માતાજી, શ્રી ભઈલુબાપુ, શ્રી પતિતપવનદાસજી મહારાજ,
શ્રી સરજુદાસજી મહારાજ, શ્રી રવુબાપુ, શ્રી રાધાકૃષ્ણ શાસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ધર્મક્ષેત્રનાં અગ્રણી મહાનુભાવો કથા લાભમાં જોડાયાં હતાં.
આયોજન માટે ઠાકરધામનાં લઘુમહંત શ્રી ગોપાલ ભગત સાથે મોટી સંખ્યામાં સેવકો ભાવિકો જહેમત ઉઠાવી રહ્યાં છે.
Recent Comments