ગુજરાત

અમદાવાદના ફતેવાડીમાં ગેરકાયદેસર મકાનોમાં પાણીની પાઇપલાઇન નાખવા મામલે વિવાદ

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફતેવાડી નજીક આવેલી ૨૨ જેટલી નાની મોટી ચાલીમાં પાણીની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. મકતમપુરા વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનને આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખી અને પાણી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કિસ્સામાં ૭૦, ૨૦ અને ૧૦ યોજના મુજબ પાણીની પાઇપલાઇન નાખવા માટે અગાઉ વોટર એન્ડ સુએજ કમિટિ કામગીરી મૂકવામાં આવી હતી પરંતુ હજી સુધી તે અંગે કોઈ ર્નિણય લેવાયો નથી. કોર્પોરેશનના મુજબ આ વિસ્તાર જે આ પાણીના કનેક્શન નાખવાની અને લાઈન આપવાની વાત છે તે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામો થયેલા છે અને આ ગેરકાયદેસર બાંધકામો થયેલા હોવાથી ત્યાં પાણીની પાઇપલાઇન ન નાખી શકાય. મકતમપુરા વોર્ડમાં આવતા સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલી અંદાજે ૨૨ જેટલી ચાલીઓ જે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બની છે અને તેમાં આવેલા મકાનોમાં પાણી પૂરું પાડવા માટે મકતમપુરા વોર્ડના કોર્પોરેટરો દ્વારા કોર્પોરેશનના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખી અને પાણી આપવા માટેની ભલામણ કરવામાં આવી હતી. સરકારી અને ખાનગી માલિકતોમાં આ ગેરકાયદેસર બાંધકામો થયેલા હોવાથી તેમની પાસે કોઈ ટેકસ બિલ કે અન્ય પ્રમાણપત્ર નથી છતાં પણ ખાસ કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત જાન્યુઆરી માસમાં ૭૦, ૨૦ અને ૧૦ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન રૂપિયા બેથી અડધો કરોડના ખર્ચે નાખવા માટેની દરખાસ્ત વોટર એન્ડ સુએજ કમિટીમાં લાવવામાં આવી હતી. જાેકે, આ પાણીની પાઇપલાઇન હજી સુધી નાખવામાં આવી નથી. ખાસ કરીને ગેરકાયદેસર જમીન પર આ મકાનો આવેલા છે જેથી આવા ગેરકાયદેસર મકાનોમાં નલ સે જલ યોજના અંતર્ગત ગેરકાયદેસર રીતે જાેડાણોને પૈસા લઇ અને કાયદેસર કરી શકાય છે પરંતુ પાણીની પાઇપલાઇન નાખી શકાતી નથી. અવારનવાર મકતમપુરા વોર્ડમાં પાણીની સમસ્યાને લઇ અને કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગ સહિતના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ કિસ્સામાં પણ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવામાં જે ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો છે તે કરવામાં આવતો નથી જેને લઇ અને હવે વિવાદ વધુ વર્કયો છે.

Related Posts