આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી શીતળા માતાજીના મંદિરે મહિલાઓ પોતાના સંતાનોના સુસ્વાસ્થ્ય માટે માતાજીનું પૂજન અર્ચન કરતાં જોવા મળેલ છે. આમ તો નાગપંચમીથી શરૂ થતાં આ ઉત્સવ પર્વ રાંઘણ છઠ, સાતમ, જન્માષ્ટમી તથા પારણા નોમ સુધીની પવિત્ર ઉત્સવોની શૃંખલા છે. આજે સાતમના દિવસે સામાન્યતઃ ચૂલો પેટાવવામાં આવતો નથી. મોટાભાગના લોકો આજે ગઈકાલે રાંધેલો ઠંડો તળેલો આહાર લેતાં જોવા મળે છે. આ પર્વ દરમિયાન ઘરની ગૃહિણીઓને રસોડે રજા રહે એ ઉદ્દેશથી આવો રીવાજ અસ્તિત્વમાં આવ્યો હશે.
આજે ઘરની મહિલાઓ પોતાના સંતાનો સાથે મેળે કે દેવદર્શન કરવા નીકળી પડે છે.આમ શીતળા સાતમ જન્માષ્ટમી એ આમ તો ભારતીય સંસ્કૃતિમાં આનંદનું પર્વ ગણાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સાતમ આઠમનું વિશેષ મહત્વ હોય છે. પરિણિત સ્ત્રીઓ પોતાના પિયરમાં સાતમ આઠમ કરવા હરખથી આવે છે. પિતાના ઘરનું આંગણું દિકરીના કલરવથી ગુંજતું જોવા મળે છે.
Recent Comments