રાષ્ટ્રીય

આઠ વખત નિષ્ફળતા મળ્યા બાદ આખરે માલ્યાના કિંગફિશર હેડક્વાર્ટરની હરાજી થઇ

બેન્કોના હજારો કરોડો રૂપિયા ડુબાડીને વિદેશ ભાગી જનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપની કિંગફિશરનુ હેડક્વાર્ટર આખરે વેચાઈ ગયુ છે.
હૈદ્રાબાદની એક રિયલ એસ્ટેટ ફર્મ દ્વારા તેને ૫૨ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યુ છે.આ પહેલા પણ વિજય માલ્યાના લેણદારોએ આ પ્રોપર્ટી વેચવાની કોશિશ કરી હતી પણ તેની રિઝર્વ પ્રાઈસ એટલી ઉંચી રાખવામાં આવી હતી કે, ડીલ થઈ રહી નહોતી.

આ પહેલા કિંગફિશર હાઉસની હરાજી કરવાના આઠ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. માર્ચ ૨૦૧૬માં બેન્કોએ તેની રિઝર્વ પ્રાઈઝસ ૧૫૦ કરોડ રૂપિયા રાખી હતી. અને અત્યાર સુધી પ્રોપર્ટી નહીં વેચાવાનુ મુખ્ય કારણ આ જ હતુ.

આ બિલ્ડિંગ ત્રણ માળની છે અને તેનો પૂરો એરિયા ૧૫૮૬ ચોરસ મીટર છે. જયારે આખો પ્લોટ ૨૪૦૨ ચોરસ મીટરને છે. જાણકારોના મતે આ પ્રોપર્ટી મુંબઈ એરપોર્ટની બહારના વિસ્તારમાં છે અને બેન્કોએ તેની કિંમત વધારે આંકી હતી.

ઉલ્લેખનીય છે કે, કિંગફિશર એરલાઈન્સને ચાલુ રાખવા માટે બેન્કો પાસેથી માલ્યાએ ૯૯૯૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. કંપનીની હાલત ખરાબ થયા બાદ માલ્યા બેન્કોને લોન પાછી આપી શક્યા નહોતા અને ૨૦૧૨માં એરલાઈન્સ પણ બંધ થઈ ગઈ હતી. એ પછી માલ્યા લંડન ફરાર થઈ ગયા હતા.

જુલાઈ મહિનામાં જ લંડન હાઈકોર્ટે માલ્યાને દેવાળિયા જાહેર કર્યા છે અને સરકાર તેમને ભારત પાછા લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.

Related Posts