પાકિસ્તાનની શેહબાઝ સરકારે ૯ મેના રોજ દેશમાં થયેલા હિંસક વિરોધને લઈને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના પીટીઆઈ નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સરકારે પીટીઆઈના ૯ નેતાઓના રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યા છે. જે નેતાઓના પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યા છે તેમાં પીટીઆઈના નેતાઓ ઝરતાજ ગુલ, પરવેઝ ખટ્ટક, શાહ મહમૂદ કુરેશી, અસદ ઉમર, આઝમ સ્વાતિ, અલી અમીન ગાંડાપુર, ફારૂક હબીબ, અન અબ્બાસ અને અલી મુહમ્મદ ખાનના નામ સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શેખ રાશિદ અહેમદનો રાજદ્વારી પાસપોર્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોપ છે કે ૯ મેના રોજ પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ દરમિયાન આ લોકોએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું. જેણે હિંસક વળાંક લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંસા અને આગચંપી મામલે પીટીઆઈના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં પીટીઆઈના ઘણા નેતાઓએ પણ રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે કહ્યું હતું કે ઈમરાનનો ખેલ ખત્મ થઈ ગયો છે.
તેમણે ઈમરાન ખાન પર ૯ મેના રમખાણોનો માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર વિરુદ્ધ મોરચો ખોલનારા પીટીઆઈ નેતાઓ સામે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઘણા શહેરોમાં ‘વોલ ઓફ શેમ’ લગાવવામાં આવી રહી છે. જેમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓની તસવીર લગાવવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, રાવલપિંડીમાં લગાવવામાં આવેલા આવા જ એક પોસ્ટર પર પીએમ શહેબાઝ શરીફની પાર્ટીના કાર્યકર્તાઓએ જૂતા વડે માર માર્યો હતો. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન પર મોટો નિશાન સાધ્યો છે. ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટને ટાંકીને તેણે કહ્યું કે તેના પગમાં કોઈ ફ્રેક્ચર નથી. ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, તેમના યુરિન સેમ્પલમાં કોકેન અને આલ્કોહોલનો ઉપયોગ ચોક્કસપણે સામે આવ્યો છે. જણાવી દઈએ કે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાનની ધરપકડના સમયે પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે તેના સેમ્પલ લીધા હતા.


















Recent Comments