સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીના ૧૧.૫ કિમીના પટ્ટામાં જ સાબરમતીનું શુદ્ધિકરણ થતું હોય તેમ લાગે છે. નદીમાં પ્રદૂષણ માટે સૌથી વધું જવાબદાર ઉદ્યોગો છે. આ ઉદ્યોગો ઝેરી કચરો નદીમાં ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત ગટરનું પાણી પણ નદીમાં ઠલવાય છે. સાબરમતી માટે રાયસણ અને વૌઠા પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જાે નદીના પાણીમાં ૬ એમજી-૧ બીઓડી લેવલ હોય તો તે ન્હાવા યોગ્ય ગણાય પણ સાબરમતીમાં આ સ્તર ૨૯૨ એમજી-૧ બીઓડી હતું. રાજ્યમાં ૬ નદી પહેલી પ્રાયોરિટીમાં અને ૪ નદી પાંચમી પ્રાયોરિટીમાં છે.
બાકીની નદી બીજી, ત્રીજી અને ચોથી પ્રાયોરિટીમાં છે. સાબરમતી, વિશ્વામિત્રી, અમલખાડી, ભાદર, ઢાઢર, ખારી પહેલી પ્રાયોરિટીમાં, મીંઢોળા નદી બીજી પ્રાયોરિટીમાં, મહી નદી ત્રીજી પ્રાયોરિટીમાં, શેઢી નદી ચોથી પ્રાયોરિટીમાં અને ભોગવો, ભૂખી ખાડી, દમણગંગા અને તાપી પાંચમી પ્રાયોરિટીમાં છે. સાબરમતી નદીનું બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધારે હોવાથી પાણીમાં જીવ સૃષ્ટિનો વિકાસ થઇ શકે તેવી શક્યતા નથી. ઉપરાંત પાણીમાં ઝેરી તત્ત્વોનું પ્રમાણ પણ વધારે છે. જાે સાબરમતીનું પાણી માણસોના પીવામાં આવે તો પાણીમાં રહેલા ઝેરી તત્ત્વોની નકારાત્મક અસર શરીર પર થશે.
નદીમાં પાણીનું બીઓડી લેવલ ઘટાડવા માટે તેમા મિક્સ થતા પાણીના સોર્સ શોધી તેના પર કાર્યવાહી કરવી જાેઇએ.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ મુજબ સાબરમતી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે અને તેનું પાણી પીવા લાયક નથી. સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટે અનેક વખત સરકાર અને મ્યુનિ.ની આકરી ઝાટકણી કાઢી છે. મ્યુનિ.એ સાબરમતીના શુદ્ધિકરણ માટે ૨૦૨૦-૨૧માં ૫૬.૦૮ કરોડ અને ૨૦૨૧-૨૨માં ૨૧.૧૪ કરોડ મળી બે વર્ષમાં ૭૭.૨૨ કરોડ ખર્ચ કર્યો છે છતાં નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાઈ નથી.
Recent Comments