ગુજરાત

કેજરીવાલનો દાવો- ભાજપ ડરી ગઇ, પ્રેસ કોન્ફરન્સ માટે જગ્યા આપતી નથી, 13 વાર બદલી

ભાજપ વાળા અમારાથી એટલા બધા ડરી ગયા છે કે અમારે સભાના સ્થળ 13 વખત બદલવા પડ્યા છે, અમારા કાર્યક્રમ ન થઇ શકે તેના માટે ભાજપે પુરતા પ્રયાસ કર્યા છે, પરંતુ તેમની કારી ફાવી નથી, એમ વડોદરાની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે 27 વર્ષ સત્તા પર રહીને તેમને અંહકાર આવી ગયો છે, એકવાર તેમને બદલવાની જરૂર છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી પણ જોર લગાવી રહી છે અને અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પછી AAPના ઉત્સાહ બુલંદી પર છે.

મંગળવારે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટીના હાજરીથી ડરી ગઇ છે અને બોખલાઇ ગઇ છે. અમે જયાં જયાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું ત્યાં ત્યાં ભાજપવાળા સ્થળ માલિકોને ધમકાવીને સ્થળ બદલાવી રહ્યા છે. વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા પહેલા અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ વેલકમ હોટલમાં રાખવામાં આવી હોવાનો મેસેજ પત્રકારોને અપાયો. જેના થોડા કલાકમાં જ પત્રકાર પરિષદ શહેરના છેડે ભાયલીના પુરુષોત્તમ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, હવે ભાજપ- કોંગ્રેસ બંને પાર્ટીઓ અમારી સામે પડી છે અને અમારા પર પ્રેસર લાવી રહી છે. તેમને મારી  મોંઘવારી દુર કરવાની, વીજળી મફત આપવાની વાત, સારી સ્કુલો બનાવવાની વાત ગમતી નથી. તેઓ નથી ઇચ્છતા કે ગુજરાતમાં મોંઘવારી દુર થાય,ગુજરાતને સારી સુવિધા મળે. કેજરીવાલે કહ્યુ કે, તમે જોજો હવે થોડા દિવસોમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાત આવશે અને અરવિંદ કેજરીવાલને ગાળો આપશે. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે કહ્યુ કે, અત્યારે ગુજરાતમાં એવું લાગે છે કે બધા લોકો રસ્તા પર ઉતરી આવીને વિરોધ કરી રહ્યા છે. નિવૃત સૈનિકો, ફોરેસ્ટ્ ગાર્ડ, નેશનલ હેલ્થ કમિશનના કર્મચારીઓ, શિક્ષકો, ખેડુતો બધા લોકો આંદોલન કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, જો અમારી સરકાર આવશે તો બધાની સમસ્યાનો ઉકેલ લાવીશું. જો અમારી સરકાર સારું કામ કરે તો જ બીજી વખત મત આપજો.

Related Posts