ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરના તાજેતરના નિવેદનથી સર્જાયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. ઠાકોરે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના વિવાદિત નિવેદનનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે ભારતના સંશાધનો પરનો પહેલો અધિકાર લઘુમતીઓનો છે. ખેરાએ કહ્યું હતું કે હકીકતમાં ભાજપ આવા વિવાદો દ્વારા રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,કોંગ્રેસ હંમેશાં સર્વસમાવેશક વિકાસમાં વિશ્વાસ રાખે છે.
કોંગ્રેસ હંમેશા પોતાના આદર્શો પર અડગ રહી છે. તે મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરે છે, જેમણે કહ્યું હતું કે તેઓ દરેકની આંખોનાં આંસુ લૂછવા માગે છે. પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે એ લાખો પીડિતોની સેવા કરવી એ ભારતની સેવા કરવા બરાબર છે. પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું હતું કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ માર્ગ પર હોવું જાેઈએ, પરંતુ તે તમામ માટે હોવું જાેઇએ. તેમણે વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની ભાજપ સરકાર પર મતદારોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાં ભાજપના ૨૭ વર્ષના કુશાસનમાં દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત સમુદાયો સહિત સમાજના ઘણા વર્ગોને મુખ્ય પ્રવાહમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતના ખેડૂતો, મજૂરો, ડેરી માલિકો, અન્ય સહકારી સંસ્થાઓ, લઘુ ઉદ્યોગો, વેપારી વર્ગ અને મધ્યમ વર્ગ ભાજપની જનવિરોધી નીતિઓથી પિડીત છે. માત્ર એક કે બે પસંદગીના ઉદ્યોગપતિઓને જ ફાયદો થયો છે. ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે ભાજપ વચનો પાળવામાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, ત્યારે ભાજપનો એકમાત્ર એજન્ડા જૂઠ્ઠાણા દ્વારા સમાજમાં તણાવ પેદા કરવાનો હોય છે. કોંગ્રેસને એ વાતનો ગર્વ છે કે દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ સમાજના તમામ વર્ગના ઉત્થાન માટે તે તેમની પડખે ઊભી છે.
અમદાવાદમાં લઘુમતી સમુદાયના એક કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે મનમોહન સિંહના વિચારને સમર્થન આપ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સિંઘના નિવેદનથી થયેલા રાજકીય નુકસાનની તેમને ખબર છે.તેમ છતાં આ વલણને વળગી રહેવા બદલ તેમને તેમની પાર્ટી પર ગર્વ છે. બે દિવસ પછી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદના પાલડીમાં પાર્ટીની મુખ્ય ઓફિસ ‘રાજીવ ગાંધી’ ભવનની બહાર કોંગ્રેસના પોસ્ટરોની તોડફોડ કરી હતી, અને કોંગ્રેસ પર મુસ્લિમ મતદારોને લલચાવવાનો આરોપ મૂકયો હતો.
Recent Comments