કોરોના કેરઃ સાંબરકાંઠાના કાણિયોલ ગામે ૭ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં પ્રતિદિન ૨ હજાર કરતાં પણ વધારે કેસ સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા પ્રતિદિન ૩૦૦થી ૩૫૦ કેસ સામે આવતા હતા. નવા સ્ટ્રેનના લક્ષણો પણ દેખાતા નથી અને વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવે ત્યારે વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવે છે. ત્યારે હવે ફરીથી કેટલાક ગામના લોકો કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો ર્નિણય કરી રહ્યા છે.
હિંમતનગરમાં આવેલા કાણિયોલ ગામમાં ગામના લોકોએ સાથે મળીને કોરોનાના સંક્રમણ રોકવા સાત દિવસનું સ્વયંભૂ લોકડાઉન લાગુ કર્યું છે. કાણિયોલ ગામમાં કોરોનાના કેસ વધતા ગામ લોકો દ્વારા તકેદારીના ભાગરૂપે આ ર્નિણય કરવામાં આવ્યો છે. સ્વયંભૂ લોકડાઉન દરમિયાન આ ગામની અંદર સવારે બે કલાક અને સાંજે બે કલાક આમ કુલ ચાર કલાક જ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. કાણિયોલ ગામ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલું છે અને હવે ગામ લોકો દ્વારા પણ સ્વયંભૂ લોકડાઉન ર્નિણય કરવામાં આવ્યો છે.
મહત્ત્વની વાત છે કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ સંક્રમણને કાબુમાં લેવા માટે આ ર્નિણય વહીવટીતંત્રને સાથે રાખીને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિવસ દરમિયાન ગામના લોકોને પણ કામ વગર ઘરની બહાર ન નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઘરની બહાર નીકળતા વ્યક્તિએ પણ ફરજિયાત માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે ગામના લોકો પણ વહીવટી તંત્રને સહયોગ આપી રહ્યા છે.
Recent Comments