હાલ કોરોનાની માહામારી ચાલી રહી છે. ત્યારે રાજકીય નેતાઓ લોકોની મદદ કરે તો પણ પ્રસિદ્ધી મેળવવા અનેક પ્રયાસો કરતા હોય છે. જસદણમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના પોસ્ટર પર કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાનું પોસ્ટર લાગતા વિવાદ છંછેડાયો છે. બાવળિયા અને બોઘરા જૂથ વચ્ચે ખટરાગ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. આ અંગે જસદણ શહેર પ્રમુખ ધીરૂ ભાયાણી અને જસદણ પાલિકા પ્રમુખ દિપકકુમાર ગીડાએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખી ખુલાસો કર્યો છે અને માફ કરવાની પણ વાત કરી છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના સહયોગથી અમોએ ડીસીએચસી-૨ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. સાહેબ, આપણાં કાર્યકરોએ જે બેનરો લગાવ્યા છે, એમા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે આપ સાહેબના ફોટા સામેલ છે. ડો. ભરત બોઘરાના હોર્ડિંગ ઉપર હોર્ડિંગ લગાવવાનું કારણ એટલું જ હતું કે ડો. ભરત બોઘરાનું કોવિડ કેર સેન્ટર (જ્યાં હાલ ૧૨ દર્દીઓ છે) બંધ કરવાની જાહેરાત ૭મેના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ અમોએ ૯મેએ હોર્ડિંગ્સ લગાવ્યા હતા.
જ્યારે નવા શરૂ કરવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટરમાં હાલ ૫૦ બેડની સુવિધા છે, જેમાંથી હાલ ૩૫ જેટલા દર્દીઓ ઓક્સિજન સાથે અને બીજા આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. આ કોવિડ કેર સેન્ટર હજુ પણ આગળના ઘણા સમય માટે ચાલુ રહે તેમ છે. ડો. ભરત બોઘરાનું કોવિડ કેર સેન્ટર બંધ થયા પછી હોર્ડિંગ પર અન્ય કોઈ કોમર્શિયલ હોર્ડિંગ ન લગાવે એ માટે અમોએ આ નવા કોવિડ કેર સેન્ટરનું હોર્ડિંગ લગાવ્યું છે. આ હોર્ડિંગ લગાવવા પાછળ અમારો કોઈ બદ ઈરાદો ન હતો કે કોઈની સૂચનાથી અમે કર્યું એવું પણ ન હતું. અમોએ લગાવેલા હોર્ડિંગની નકલ આ સાથે સામેલ છે કે જેમાં અમે સંપૂર્ણપણે પાર્ટીનો પ્રોટોકોલ જાળવ્યો છે.
Recent Comments