અમરેલી

ખાંભાના તાતણીયા ગામે તદ્દન ફ્રી સર્વ રોગ નીદાન કેમ્પ  યોજાશે

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને જનતા વિદ્યાલય અને ગ્રામ પંચાયત ઉપરાંત બાબાપુર સર્વોદય સરસ્વતી વિદ્યા મંદિરનાં સંયુક્ત ઉપક્રમે આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૭/૦૪ નાં રોજ યોજાવા જઈ રહેલ  આ કેમ્પમાં  ડો. વાણિયા એમ ડી ફિજિશ્યન,ડો. રાકેશ સિંહ જનરલ સર્જન, ડો. અઘેરા ગાયનેક, ડો. અંકુર પટેલ ઓર્થોપેડીક સર્જન, ડો મનીષ સિસારા પીડીયાટ્રીક,ડો. ચેતના શિયાળ જનરલ સર્જન પોતાની સેવા એકપણ રૂપિયો ફી લીધા વગર આપશે. તેમ આરોગ્ય મંદિરનાં એડમિન ડો. પ્રકાશ કટારિયાની યાદી જણાવે છે.

હવે તાંતણિયાની વાત કરીએ તો ગીર વિસ્તારનું પ્રવેશદ્વાર ગણાતાં તાંતણિયાનો ટૂંકો પરિચય એટલે સાવરકુંડલાથી લગભગ અઠ્ઠાવીસ કિલોમીટરનાં અંતરે આવેલું ખાંભા તાલુકાનું છેવાડાનું ગામ કહી શકાય.. અહીંથી જ વન્ય વિસ્તારની એક અનોખી પહેચાન શરૂ થાય છે. આમ ગણો તો આજુબાજુના ગીદરડી, ભાણિયા, પીપળવા, લાસા, જેવાં ખૂબ અંતરિયાળ ગામનું હટાણાનું ગામ પણ એક સમયે ગણાતું. આ ગામમાં લગભગ દિવસમાં પાંચ છ બસો આવે છે. આઝાદી પછી ઘણાં સમય સુધી બિલકુલ પછાત વિસ્તાર ગણાતાં તાંતણિયાના લોકોનો મુખ્ય વ્યવસાય પણ ખેતી અને ખેતપેદાશ આધારિત શ્રમસેવા જ ગણાતો. અહીંથી તુલસીશ્યામ જવા માટે માત્ર બે ચાર નેસડાં જેવા ગામ જ આવે છે. આ તાંતણિયાના લોકો સ્વભાવે ખૂબ ભલા ભોળા અને શ્રમયોગી છે.  શ્રી લલ્લુબાપા શેઠની જેમ ગાંધી મૂલ્યો સાથે લોકસેવાર્થે પોતાનું સમગ્ર આયખું વ્યતીત કરનાર સ્વ. બાલુબાપા ગઢીયાની કર્મભૂમિ..

આ વિસ્તારના લોકો માટે સ્વાસ્થ્ય સંબંધિત બિમારી માટે લગભગ આજે પણ આ ગામમાં કોઈ એમ. બી. બી. એસ ડોક્ટર નથી..! એવાં અંતરિયાળ વિસ્તારની પણ  હવે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આરોગ્ય ટીમ તબીબી સેવા કાજે પ્રતિબધ્ધ રહે છે એ વિદ્યાગુરુ ફાઉન્ડેશન શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યની દર્દીનારાયણ માટેની સેવાભાવના દર્શાવે છે. અને એટલે જ તાંતણિયા જેવા ગામમાં તારીખ ૨૭ – ૪-૨૦૨૩નાં જાહેર સર્વ રોગ નિદાન કેમ્પ એમ. ડી. એમ. એસ. અને વિવિધ તબીબી ક્ષેત્રોનાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના તબીબોનો તાંતણિયા મુકામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે.

Related Posts