ખાલિસ્તાન સમર્થક અને અલગાવવાદી અમૃતપાલ સિંઘના કેસમાં પંજાબ પોલીસને એક મોટી સફળતા મળી છે. અમૃતપાલ સિંઘના સહયોગી તેજિન્દર સિંહ ઉર્ફે ગોરખા બાબાની ધરપકડ કરી છે. ગોરખા બાબા ખન્નાના મલૌદ વિસ્તારના મંગેવાલ ગામનો રહેવાસી છે. તે મોટેભાગે અમૃતપાલની સાથે રહેતો હતો અને અજનાલા કેસમાં પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ગોરખા બાબા એક સમયે અમૃતપાલનો ગનમેન હતો.
અમૃતપાલને લઈને પંજાબ પોલીસ ગુરુવારે સાંજે ૫ વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે. પંજાબ પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને શોધી રહી છે. તેના પર પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અને ગેરકાયદેસર હથિયાર લોબી સાથે સંબંધ હોવાનો આરોપ છે. તેણે પાકિસ્તાનમાંથી શસ્ત્રો મેળવ્યા અને તેને એકઠા કરીને તેના સમર્થકોમાં વહેંચી દીધા. આ સંદર્ભમાં ગુપ્તચર એજન્સીઓએ તમામ સ્ત્રોતો અને પુરાવાઓને એકસાથે જાેડવાનો પ્રયાસ કર્યો છે. નામ ન આપવાની શરતે અધિકારીઓનું કહેવું છે કે અમૃતપાલ સિંહના ખાલિસ્તાની અલગતાવાદી અને જરનૈલ સિંહ ભિંડરાનવાલેના અનુયાયી હોવાના તમામ કારણો સામે આવશે. ખરેખરમાં તે ડ્રગ્સ અને આર્મ્સ સપ્લાયના ગેરકાયદેસર ધંધામાં વોન્ટેડ ગુનેગાર છે.
ગુપ્તચર અધિકારીએ કહ્યુ હતુ કે, અમૃતપાલ પાસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની લાંબી યાદી છે. તેણે પંજાબને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવાનો પ્રયાસ કરવા માટે પાકિસ્તાન પાસેથી શસ્ત્રો મંગાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે અમૃતપાલ પર ઘણા આરોપો છે અને જ્યારે તેના સમર્થકોએ હથિયારો લહેરાવીને કાયદો અને વ્યવસ્થાને પડકારી હતી ત્યારે આ ષડયંત્રનો સંપૂર્ણ પર્દાફાશ થયો હતો. તે ગેરકાયદેસર રીતે વ્યસન મુક્તિ કેન્દ્રો ચલાવતો હતો અને ત્યાં તમામ કાવતરાઓ ઘડવામાં આવતા હતા.
Recent Comments