દેશમાં આવેલી વાજબી ભાવની દુકાનોથી ગરીબીરેખા હેઠળ આવતા જરૂરિયાતમંદ લોકોને રાહત દરે ચોખા, ઘઉં, તેલ, ખાંડ, મીઠું, કેરોસિન સહિત આવશ્યક વસ્તુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખુદ વાજબી ભાવના દુકાનદારોએ જ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇતિહાસમાં પ્રથમ વખત જાહેર વિતરણ હેઠળ એટલે કે વાજબી ભાવની દુકાનેથી વિતરણ થતા ઘાસતેલનું વિતરણ કાયમને માટે બંધ કરવાની પેરવી ચાલી રહી છે. વાજબી ભાવની દુકાનેથી રાહતદરે વિતરીત કરાતા કેરોસીનના એક કિલો લિટરના ભાવ પણ હવે આસમાનને આંબી રહ્યા છે અને હવે તો વિતરણ હેઠળનો જથ્થો પણ ઓછો કરી દેવાયો છે તેવામાં સૌપ્રથમ વખત જાહેર વિતરણ હેઠળ કેરોસિનનું ’ક’ કાયમને માટે કાઢી નાખવાની પેરવી ચાલી રહી છે.
દેશમાં ધનિકો વધુ ધનવાન થતા જાય છે અને મોંઘવારીના માર વચ્ચે કચડાયેલા ગરીબો દિવસને દિવસે વધુ ગરીબ થતા જાય છે ત્યારે કચ્છમાં હજુપણ અનેક લોકોના ઘરના ચૂલા કેરોસિન થકી જ સળગે છે. કચ્છ જિલ્લામાં ખાસ કરીને સૂકી ખેતી અને મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાત ચલાવતા લોકોને હાલે જે રીતે ગેસના બાટલાના ભાવ વધી રહ્યા છે તે આર્થિક રીતે પોષાય તેમ નથી, જેથી વાજબી ભાવની દુકાનેથી કેરોસિનનું વિતરણ બંધ કરી દેવાથી જરૂરિયાતમંદ લોકોને મોટો ફટકો પડશે. સરકાર દ્વારા ઉજાલા યોજના હેઠળ બીપીએલલ એટલે કે ગરીબી રેખા હેઠળના લાભાર્થીઓને રૂ.૧૦૦માં ગેસ કનેક્શન સાથે બાટલો, ચૂલા સહિતની કિટ અપાઇ રહી છે, જાેકે નવાઇની વાત એ છે કે, ગેસ સિલિન્ડરના ભાવ હાલે રૂપિયા હજાર પર પહોંચી ગયા છે, જેથી એક વખત સરકારે વિનામૂલ્યે સિલિન્ડર આપ્યા બાદ હાલે જે રીતે ભાવ વધારો ઝીંકાયો છે તે આર્થિક રીતે નબળા લોકોને પોષાય તેમ નથી. સિલિન્ડરના ભાવ રૂ.૯.૨૫ પર પહોંચી ગયા છે, તેમાં વળી ઘરે ડિલિવરી આપવા આવતા ફેરિયાઓ કમિશન પેટે રૂ.૧૦ લઇ લેતા હોય છે, જેથી સરવાળે એક સિલિન્ડર પાછળ રૂપિયા હજારનો ફટકો પડે છે.
ગત વર્ષની સરખામણીએ વાજબી ભાવની દુકાનેથી રાહતદરે વિતરિત થતા કેરોસીનના એક લિટરના ભાવની વાત કરીએ તો ૨૦૨૧માં એક લિટરના ભાવ રૂ.૩૬ હતા, જેમાં ચાલુ વર્ષે એટલે કે ૨૦૨૨માં રૂ.૨૦નો વધારો ઝીંકાયો છે અને ૧ ફેબ્રુઆરીના નવા જાહેર થયેલા ભાવ પ્રમાણે એક લિટરના રૂ.૫૬ થઇ ગયા છે. અગાઉ જિલ્લામાં ૧૦થી ૧૨ ડીલર હતા અને દરેક ડીલર પાસે મહિનામાં ૮થી ૧૦ ટેન્કર કેરોસિન પહોંચતું હતું પરંતુ હાલે માત્ર ૨થી ૩ જ ડીલર છે, જેમને મહિને દોઢથી બે ટેન્કર કેરોસિન માંડ અપાય છે.રાજ્યમાં વાજબી ભાવની દુકાનેથી થતું કેરોસીનનું વિતરણ સદંતર બંધ કરવાની પેરવી ચાલી રહી છે અને જાહેર વિતરણ હેઠળ આવશ્યક વસ્તુ પૈકી ઘાસતેલ (કેરોસિન)ના ભાવ તાજેતરમાં વધારી દેવાયા બાદ વિતરણ હેઠળનો જથ્થો પણ ઓછો કરી દેવાયો છે, તેવામાં હવે એનું વિતરણ કાયમને માટે બંધ કરવાની ગતિવિધિ ચાલી રહી છે, જેના કારણે આર્થિક રીતે નબળા લોકોને મોટો ફટકો પડશે. મોંઘવારીના માર વચ્ચે પીસાતા ગરીબ વર્ગ માટે ગેસનો બાટલો તો દૂરની વાત છે ત્યારે જાે કેરોસિનનું વિતરણ સદંતર બંધ કરી દેવાશે તો ગરીબ પરિવારોની મુશ્કેલી વધી જશે.
Recent Comments