પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાત રાજયમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી, આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩માં વીસ વર્ષ (SWAGAT@20) પૂર્ણ થઇ રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી અંતર્ગત આવતીકાલે તા.૨૫ એપ્રિલ, ૨૦૨૩ને મંગળવારના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વડીયા ખાતે જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા અને ખાંભા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા પુખ્ત વિચારણાના અંતે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવશે. મહત્વનું છે કે, નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા SWAGAT@20 નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે નિરાકરણ થાય તે માટે સવિશેષ પ્રયાસ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે, આગામી તા.૨૭ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના અધ્ક્ષસ્થાને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમ વધુ સુદ્રઢ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને અસરકારક રીતે મળી રહે તે માટે જિલ્લા કક્ષાએથી ગ્રામ્ય અને તાલુકા સ્વાગત કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવશે. સ્વાગત કાર્યક્રમ એ નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકારનું વિશેષ આયોજન છે.
Recent Comments