સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે. અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૩ની શરુઆત થઈ ચૂકી છે. અમરેલી જિલ્લામાં પતંગ દોરીથી ઘાયલ અબોલ પક્ષીઓની સારવાર ઉપરાંત બચાવ અર્થે તા.૧૦ થી તા.૨૦ જાન્યુઆરી, ૨૩ દરમિયાન કરુણા અભિયાન-૨૩ હાથ ધરવામાં આવશે. અભિયાન અંતર્ગત ગીર (પૂર્વ) વન વિભાગ કચેરી-ધારી, શેત્રુંજી વન્યજીવ વિભાગ કચેરી-પાલીતાણા તેમજ પશુપાલન વિભાગ કચેરી, અમરેલી દ્વારા સંયુક્ત રીતે સંકલન સાધીને ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ અર્થે તાલુકા અને જિલ્લા સ્તરે કલેક્શન સેન્ટર/સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવશે.
વધુ વિગતો મુજબ જિલ્લાના કુલ ૧૧ તાલુકાઓમાં ફોરેસ્ટ,એન.જી.ઓ. દ્વારા મળીને કુલ ૯ કલેક્શન સેન્ટર ઉપરાંત ફોરેસ્ટ, એન.જી.ઓ અને એનિમલ હસબન્ડરી દ્વારા મળીને કુલ ૧૨ સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવશે. જિલ્લાના નાગરિકોને નમ્ર અનુરોધ છે કે, આ કરુણા અભિયાન-૨૩માં પોતાનો સહયોગ આપીને જીવદયા દાખવવામાં આવે. આ ઉપરાંત વન વિભાગ કચેરી-અમરેલી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, પતંગ સવારના ૯ વાગ્યા પહેલા અને સાંજના ૫ વાગ્યા પછી ન ઉડાવીએ, ચાઈનીઝ અને કાચની દોરીનો ઉપયોગ ટાળીએ, કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક હેલ્પલાઈન પર સંપર્ક કરીને પ્રકૃતિ અને જીવ પ્રત્યે આપણી માનવીય ફરજ બજાવીએ. આ સારવાર કેન્દ્રો ઉપરાંત તેના સંપર્ક નંબર હેલ્પલાઈન નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ પર Karuna વોટ્સએપ કરીને ઉપરાંત https://bit.ly/karunaabhiyan લિંક પર ક્લિક કરીને પ્રાપ્ત કરી શકાશે.
Recent Comments