ભાવનગર

જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લાના રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર, શાળાના જર્જરિત તેમજ નવીન ઓરડાઓ, સિંચાઇ, આરોગ્ય, અનાજ સંગ્રહના ગોડાઉન, પ્લોટોની સનદ, વિધવા સહાય, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી વગેરે બાબતોને લગતા પ્રશ્નોની વિશદ સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાતી રજૂઆતોનો સમયસર, વાજબી અને ઝડપી નિકાલ-ઉકેલ લાવવાની સાથો-સાથ સંબંધિત જનપ્રતિનિધિશ્રી તેનાથી સમયસર વાકેફ થાય તે રીતની કાર્યપ્રણાલી અપનાવવાં અનુરોધ કર્યો હતો.

ભાવનગર પશ્ચિમ ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, તળાજા ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા, ગારીયાધાર ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે રજૂ કરેલી સમસ્યાઓ અને પ્રશ્નો પરત્વે સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવાં કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો ઉકેલ લાવવાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, મદદનીશ કલેક્ટરશ્રી પુષ્પ લત્તા, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts