નડિયાદમાં મંજીપુરા રોડ પર રહેતાં અને વસો પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ મકવાણાનુ આકસ્મિક મોત થતાં ચકચાર મચી જવા પામી છે. તેઓ બે દિવસથી ઘરમાં બહાર ન નીકળતા પડોશીઓએ તપાસ કરી તો તેમનો મૃતદેહ ઘરના બાથરૂમમાથી મળી આવ્યો હતો. સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં અપમૃત્યુની નોધ કરી છે. નડિયાદ તાલુકાના મંજીપુરા ગામની સીમમાં આવેલ બાલાજી પાર્ક સોસાયટીના મકાન નંબર ૩૯માં રહેતા ૪૩ વર્ષિય પરેશભાઈ નાનજીભાઈ મકવાણા પોતે વસો ખાતે પુરવઠા વિભાગમાં નાયબ મામલતદાર તરીકેની ફરજ બજાવે છે. પરેશભાઈ રોજ સવારે ઘરેથી સરકારી દફતરે અને સરકારી દફતરેથી ઘરે એમ અવરજવર કરે છે.
પરંતુ ૨૪મી ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર વચ્ચે તેમના ઉપરોક્ત મકાનમાં કોઈ ચહલ પહલ જાેવા મળી નહોતી. તેમના પરિવારજનો પણ ટુરમા નીકળી ગયા હતા જેથી પરેશભાઈ એકલા જ આ સમયગાળા દરમિયાન ઘરે હતા. આ દરમિયાન ન્હાવા જતાં બાથરૂમમા કોઈ અગમ્ય કારણોસર અથવા તો પરેશભાઈ પોતે હાઈબીપીની બીમારીથી પીડાતા હોવાથી હાઈબીપી વધતાં એકાએક તેમનુ બાથરૂમમાં જ મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ મામલે આજે મરણજનારના ભાઈ પ્રશાંતભાઈ નાનજીભાઈ મકવાણાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમા જાણ કરતાં પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ તેઓ મુળ માતર તાલુકાના મલિયાતજ ગામના વતની છે અને તેમને સંતાનમાં એક નાની આશરે ૧૧ વર્ષની દીકરી છે. પરેશભાઈની પત્ની અને સંતાન સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હતા. આ દરમિયાન ઘરે એકલા પરેશભાઈનુ આકસ્મિક મોત નિપજ્યું છે. પરેશભાઈની અવરજવર ન દેખાતા સૌપ્રથમ ઘટનાની જાણ પડોશીઓને થતાં આ અંગે તેમના પરિવારજનોને જાણ કરી હતી.
Recent Comments