ભાવનગર

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના-ભોજન વિતરણ કેન્દ્ર નું લોકાર્પણ

ભાવનગર જિલ્લાના ચિત્રા એસોસિયેશન હોલ, ચિત્રા ખાતે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કાર્યાલય ના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના-ભોજન વિતરણ કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવ્યું.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઇ-બહેનોને ખુબ જ ઓછા દરે પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુસર શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ.૫/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવશે. જેમાં રોટલી, શાક, કઠોળ, દાળ, ભાત, અથાણું, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ થાય છે. બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન જ નહીં પરંતુ શિક્ષણ, આરોગ્ય, કુદરતી મૃત્યુ, પ્રસૂતા સમય સહાય પણ પુરી પાડવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજરોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા કુલ ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રોનું ઉદ્દઘાટન કરવામાં આવેલ છે જે અંતર્ગત ભાવનગરમાં પણ 2 ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ આવેલ છે. આ ભોજન વિતરણ કેન્દ્ર ઘેટી દરવાજા, રામ રહીમ પાસે પાલિતાણા ખાતે અને ઘોઘા બસ સ્ટેન્ડ પાસે ઘોઘા ખાતે આવેલ છે.

અંતે મંત્રીશ્રી દ્વારા સર્વ શ્રમિકો ને ઈ-નિર્માણ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે અપીલ કરી હતી સાથોસાથ ધનતેરસ, દિવાળી અને નવા વર્ષના પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન. વી.ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ સાથે બાંધકામ શ્રમિક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts