અમરેલી

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પાણીની ૯૦ ટકા બચત કરી શકે છે, છોડથી થોડે દૂરથી પિયત આપવામાં આવતી હોવાથી માત્ર ૧૦ ટકા પાણીનો ઉપયોગ થાય છે

રાજ્યને આગામી ૦૫ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે.રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવતા ખેડૂતોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પ્રાકૃતિક ખેતી વિશે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી લિખિત પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’માં પ્રાકૃતિક કૃષિના કેટલાક પાયાના સિદ્ધાંતોની સમજ આપવામાં આવી છે. દેશી ગાય, ખેડ પદ્ધતિ, પિયત વ્યવસ્થા, છોડની દિશા, સહયોગી પાક, મલ્ચીંગ, કેશાકર્ષણ શક્તિ, પિયતપિયત વ્યવસ્થા સહિતની બાબતો વિશે વિગતવાર માર્ગદર્શન છે.

અમરેલી જિલ્લાની ભૌગોલિક અને પિયતની સ્થિતિને જોતા જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ખાસ કરીને પિયતની દ્રષ્ટિએ પ્રાકૃતિક કૃષિ ફાયદાકારક છે. પ્રાકૃતિક કૃષિમાં પિયત છોડથી થોડે દૂર આપવામાં આવે છે જેના કારણે માત્ર ૧૦ ટકા પાણીનો ઉપયોગ થાય છે અને ૯૦ ટકા પાણીની બચત થાય છે. છોડને થોડે દૂરથી પાણી આપવાથી છોડના મૂળની લંબાઈ વધી જાય છે. મૂળની લંબાઈ વધવાથી છોડના થડની જાડાઈ વધે છે. આ ક્રિયાના કારણે છોડની લંબાઈ પણ વધી જાય છે જેના પરિણામરૂપે ઉત્પાદન પણ વધી જાય છે. પ્રાકૃતિક કૃષિમાં કેશાકર્ષણ શક્તિનું વિશેષ મહત્ત્વ છે. આ પદ્ધતિમાં છોડ કેશાકર્ષણ શક્તિ દ્વારા જમીનમાં ઉંડ઼ેથી પોષક તત્વો મેળવી લે છે. જેથી જમીનમાં જીવાણુંઓની સક્રિયાતા વધી જાય છે. જમીનમાં ૫ ઇંચ ઉંડાઈની માટીમાં પૂરતા પ્રમાણમાં જીવાણુઓ હોય છે.

રાસાયણિક ખેતીમાં રાસાયણિક ખાતરોથી કેશાકર્ષણની ક્રિયા થઈ શકે નહીં કેમ કે માટીના બે કણોની વચ્ચે ૫૦ ટકા ભેજ અને ૫૦ ટકા હવાની અવર-જવર થવી જોઈએ. રાસાયણિક ખાતરોથી જમીન ઉપર ક્ષાર એકઠા થઈ જાય છે. યુરિયામાં ૪૬ ટકા નાઇટ્રોજન અને ૫૪ ટકા ક્ષાર હોય છે, જે માટીના બે કણ વચ્ચે જમા થઈ જાય છે. માટીની ઉંડાઈમાં પોષક તત્વોનો ભંડાર હોવા છતાં છોડ તેને લઈ શકતાં નથી કારણ કે ત્યાં કેશાકર્ષણ શક્તિ કામ કરી શકતી નથી.પ્રાકૃતિક કૃષિમાં અળસિયાની સક્રિયા વધી જવાથી માટીના બે કણો વચ્ચે ૫૦ ટકા ભેજ અને ૫૦ ટકા હવાની અવરજવર થાય છે જેનાથી પ્રાકૃતિક કૃષિમાં છોડ શક્તિનો ઉપયોગ કરી પોતાનો વિકાસ કરી લે છે અને સારું ઉત્પાદન દેવામાં સક્ષમ થઈ જાય છે. આમ ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવી શકાતું હોવાથી ખેડૂતો માટે વિષમ પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક કૃષિ આશિર્વાદ સમાન છે.

Related Posts