ગુજરાત

‘બરોડાવાસી જાગ ગયા, MS કા VC ભાગ ગયા’:સ્થાનિક વિદ્યાર્થીઓને 70 % અનામતના મુદ્દે પૂર્વ સેનેટસભ્ય- સ્ટુડન્ટ્સની નારેબાજી

વડોદરા શહેર અને જિલ્લાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે MS યુનિવર્સિટીમાં 70 ટકા બેઠકો અનામતના મુદ્દે હવે મોટા આંદોલનના મંડાણ થઇ રહ્યા છે. આજે પૂર્વ સેનેટ સભ્યો અને વિદ્યાર્થી નેતાઓ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વીસી હાય હાયના નારા લગાવ્યા હતા. બરોડાવાસી જાગ ગયા, MS કા વીસી ભાગ ગયાના નારા પણ લગાવ્યા હતા અને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને સ્થાનિક વિદ્યાર્થીઓને 70 ટકા અનામત મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઉપરાંત હેડ ઓફિસ બહાર બેસીને રામધૂન પણ બોલાવી હતી.

પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે જણાવ્યું છે કે, એમ.એસ. યુનિવર્સિટીમાં નવા વર્ષની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની શરૂઆત કરી, ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે 70 ટકા બેઠકો અનામત રાખી હતી. જેના કારણે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મળી શકે અને આર્થિક રીતે કોઇ તકલીફ ન પડે તે માટે મહારાજાએ આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જો કે, પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા પછી પણ યુનિવર્સિટી સત્તાધીશોએ 70 ટકા અનામત બેઠકો અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પત્રો દ્વારા અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આજે અમે પૂર્વ સેનેટ સભ્યો, વિદ્યાર્થીઓ નેતાઓ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને રજૂઆત કરવા આવ્યા છીએ કે, જે પ્રણાણિકા છે, તે ચાલુ રાખો, પણ વાઇસ ચાન્સેલર અમને મળવા તૈયાર નથી. આ વાઇસ ચાન્સેલર સરમુખત્યાર શાહી જેવું વલણ રાખી રહ્યા છે.

Related Posts