બાબરામાં જુની જીઈબી ખાતે આવેલ હરિઓમ ગૌશાળામાં બીમાર તેમજ અશકત ગાયો તેમજ અન્ય મૂંગા પશુઓની સારવાર અને નિભાવ કરવામાં આવે છે. ગામલોકો તેમજ દાતાઓના આર્થિક યોગદાનથી આ ગૌશાળાનું સંચાલન જીવદયા પરિવારના સભ્યો કરી રહયા છે. ત્યારે હરિઓમ ગૌશાળાના લાભાર્થે બાબરાના ગૌરક્ષક તેમજ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના મૌલિકભાઈ તેરૈયા, મહેશભાઈ બસીયા, ઈન્દ્રજીતભાઈ બસીયા, કિશનભાઈ રાઠોડ સહિતના સેવાભાવી યુવા મિત્રો દ્વારા રાત્રિપ્રકાશ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન અહીં કમળશી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન તાપડીયા આશ્રમના મહંત પૂજય ઘનશ્યામદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકાના પ્રમુખ લલિતભાઈ આંબલીયા, પત્રકાર રાજુભાઈ બસીયા, પૂર્વ નાયબ મામલતદાર પી.એલ. મારૂ, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન ભુપતભાઈ બસીયા, જાણીતા વેપારી અગ્રણી ગાંડુભાઈ રાતડીયા સહિતના અગ્રણીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહયા હતા.
રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક મૌલિકભાઈ તેરૈયાએ જણાવ્યું હતું કે મૂંગા પશુઓની સારવાર અને નિભાવ કરતી હરિઓમ ગૌશાળાના લાભાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એક મહિના સુધી ચાલનારી આ ક્રિકેટ મેચમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી 110 જેટલી ટીમો ભાગ લેશે. અહીં દરરોજ રાત્રિના બે ટીમને ચાર મેચ રમાડવામાં આવશે અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ સેમી ફાઈનલ મેચમાં મુખ્ય ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ સિવાય બેસ્ટ વિકેટ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડરને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. બાબરા, અમરેલી અને સૌરાષ્ટ્રમાંથી આવતી ટીમના ખેલાડીઓનું પૂરતું ઘ્યાન અને સગવડતા આપવામાં આવશે. રાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટને નિહાળવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલપ્રેમી લોકોને મૌલિકભાઈ તેરૈયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
Recent Comments