ભાવનગર

ભાવનગરના ૩૦૦ માં જન્મ દિવસના અવસરે તા. ૨ થી ૪ મે-૨૦૨૨ દરમિયાન ભાવસભર ઉજવણીનો ત્રિદિવસીય મહોત્સવ ‘ભાવનગર કાર્નિવલ-૨૦૨૨’ ઉજવાશે

ભાવનગર શહેર તેની સ્થાપનાને ચાલુ વર્ષે ૨૯૯ વર્ષ પૂરા કરી ૩૦૦ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે તેની ઉજવણી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ‘ભાવનગર કાર્નિવલ-૨૦૨૨’ ના નામે આયોજીત કરવામાં આવી છે, તેના ઉપલક્ષ્યમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ ભાવનગર જન્મોત્સવ સમિતિ વતી પ્રેસ કોન્ફરન્સને આજે સંબોધન કર્યું હતું.

શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, દર વર્ષે ભાવનગરના જન્મદિવસની ઉજવણી અખાત્રીજના દિવસે કરવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે આ ઉજવણી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ અત્યારે વાતાવરણ સામાન્ય બન્યું છે ત્યારે તેની ત્રણ દિવસ સુધી એટલે કે તા. ૨ થી ૪ મે, ૨૦૨૨ દરમિયાન ભાવનાત્મક ઉજવણી કરવામાં આવનાર છે.

ભાવનગરની જન્મદિવસની ઉજવણીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તા. ર જી મેના રોજ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૩ જી મે ને અખાત્રીજના દિવસે સહભાગી થવાનાં છે.

આ ઉજવણી બોર તળાવ ખાતે આવેલ ‘કૈલાસ વાટીકા’ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની તડામાર તૈયારી ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે આ ઉજવણી દરમિયાન ૭૫ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવનાર છે.

ત્રણ દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે 300 કિલોનો લાડું,  તિરંગા યાત્રા, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુષ્પાંજલિ, વોલ પેઈન્ટિંગ, સર ટી. હોસ્પિટલ ખાતે સામૂહિક સફાઈ સહિતના વિવિધ ભાવનાત્મક કાર્યક્રમો પણ યોજાશે.

અત્યારે બાળકોનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકો માટેના આનંદ- પ્રમોદના સાધનો સાથે સાત્વિક નાસ્તો પણ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના જાણીતા કલાકારો પાર્થિવ ગોહિલ, સાંઈરામ દવે, અંકિત ત્રિવેદી સહિતના કલાકારો – સાહિત્યકારો દ્વારા ભાવસભર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે.

 આ ઉપરાંત રાજ્યકક્ષાની ઉજવણીમાં જે પ્રકારના લોકનૃત્યો રજૂ થાય છે તેવા લોક નૃત્યો પણ આ ઉજવણી દરમિયાન રજૂ કરવામાં આવનાર છે તેમ તેમણે કાર્યક્રમોની રૂપરેખા આપતાં જણાવ્યું હતું.

જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવવાં સર ટી. હોસ્પિટલ ખાતે સામૂહિક સ્વચ્છતા અભિયાન સાથે ઉજવણી ફક્ત ભાવનગર શહેર પૂરતી મર્યાદિત ન રહેતાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાનું ભાવેણા હોય તે રીતે સહભાગી બને તે માટે ભાવનગર જન્મોત્સવ સમિતિ વતીથી મંત્રીશ્રીએ જિલ્લાવાસીઓ નિમંત્રણ પાઠવ્યું હતું.

Related Posts