અમરેલી

મણાર અલંગ બાબરવા ખાતે છગનદાદા કન્યા છાત્રાલયનું લોકાર્પણ

સાહિત્યકાર ચિંતક શ્રી રઘુવીર ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને દાતા શ્રી કેશુભાઈ ગોટીની ઉપસ્થિતિમાં સમારોહ

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા મણાર અંતર્ગત અલંગ બાબરવા ખાતે શ્રી છગનદાદા કન્યા છાત્રાલયનું સાહિત્યકાર ચિંતક શ્રી રઘુવીર ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં દાતા શ્રી કેશુભાઈ ગોટીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું.

કર્મયોગી સંસ્થા શ્રી માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી સંસ્થાના સંકલન પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે લોકશાળા મણારમાં છાત્રાલય સુવિધા પ્રાપ્ત થઈ છે.

આ લોકાર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સાહિત્યકાર ચિંતક શ્રી રઘુવીર ચૌધરીએ શિક્ષણ માટે અપાયેલ દાનને બિરદાવ્યું અને ખેતી સાથે પ્રકૃતિના વિકાસ માટેની અહીંની પ્રવૃત્તિમાં સૌ સહયોગીનું કામ ઉત્તમ ગણાવ્યું.

કર્મયોગી સંસ્થાના પ્રેરક દાતા શ્રી કેશુભાઈ ગોટીએ શ્રી છગનદાદાના સમાજસેવાના કાર્યોમાં સંઘર્ષ વગરની ભૂમિકા પ્રત્યે વંદનાભાવ વ્યક્ત કર્યો અને રાષ્ટ્રીય પ્રતિભાઓને જ્ઞાતિના સીમિત વર્તુળોમાં બિરદાવવાની દાનતને ભારપૂર્વક વખોડી. તેમણે શ્રી અરુણભાઈ દવે દ્વારા આ છાત્રાલય માટે થયેલા સંવાદોનો ઉલ્લેખ કરી આ અભિયાન વિશે પણ વાત કરી.

પીડીલાઈટ ઉદ્યોગના પૂરક દાન સાથે નિર્મિત આ છાત્રાલયના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે અગ્રણીઓ શ્રી દયાળભાઈ વાઘાણી, શ્રી નીતિનભાઈ ગુજરાતી તથા શ્રી દેવરાજભાઈ ગોપાણીએ પોતાના ઉદબોધનોમાં પ્રેરક વાતો કરી હતી.

કાર્યક્રમ પ્રારંભે સંસ્થાના વડા શ્રી સુરશંગભાઈ ચૌહાણે આવકાર ઉદબોધન કર્યું હતું. જ્યારે આભાર વિધિ શ્રી ડાયાભાઈ ડાંગરે કરી હતી.

લોકશાળાની વિદ્યાર્થીનીઓ કુમારી વિશેષા ગોહિલ તથા કુમારી ધર્મિષ્ઠા જાડેજાએ વક્તવ્ય આપ્યું હતું. સંચાલનમાં શ્રી મનસુખભાઈ ગુજરિયા રહ્યા હતા. પીડીલાઈટ ઉદ્યોગના શ્રી વિરેન્દ્રસિંઘ સાથે શ્રી પ્રવીણભાઈ મહેતા, શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી રમેશભાઈ દવે, શ્રી કાંતિભાઈ ગોઠી, શ્રી નિગમભાઈ શુક્લ, શ્રી મંગાભાઈ પટેલ, શ્રી જીજીભાઈ ચૌહાણ, શ્રી અજીતસિંહ સોલંકી, શ્રી દિલીપભાઈ શેટા, શ્રી પોપટભાઈ બાથાણી, શ્રી મનુભાઈ ઈટાળિયા, શ્રી સવજીભાઈ ગાંગણી વગેરે જોડાયા હતા.

Related Posts