અમરેલી

મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશની મુદ્દત ૫ ડિસેમ્બર સુધી લંબાવાઈ

લોકશાહીને મજબૂત બનાવવા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા પાત્રતા ધરાવતા યુવાઓ મતદારયાદીમાં અચૂક નામ નોંધણી કરાવવી જરૂરી છે. નવેમ્બર માસ દરમિયાન ઝુંબેશ સ્વરૂપે મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં જાહેરરજાના ત્રણ રવિવાર અને એક શનિવારે લોકો નજીકના મતદાન મથકે ખાસ ઝુંબેશ સ્વરૂપે તા.૧-૧-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદાર તરીકે પોતાનુ નામ નોંધાવા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેની મુદ્દત આગામી ૫ મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

આગામી પાંચ ડિસેમ્બર સુધી બીએલઓશ્રી લોકોના ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરશે અને જે લોકોના મૃત્યુ થયા છે તેઓના નામ કમી કરાવવાની કામગીરી પણ કરવામાં આવશે. યુવાઓએ પોતાનું નામ નોંધાવવા કે સરનામું કે અન્ય વિગતો માટે સ્થાનિક બીએલઓશ્રીનો સંપર્ક કરવા જણાવાયું છે.

હજુ પણ મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવામાં બાકી હોય એવા તમામ તેમજ મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારા માટે આ છેલ્લી તક છે.

સમગ્ર નવેમ્બર માસમાં મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે ૨૮,૮૬૮ અરજીઓ, મતદારયાદીમાંથી નામ કમી કરવા ૧૪,૫૦૦ અરજીઓ, મતદારયાદીમાં રહેલા નામમાં સુધારા માટે ૧૬,૧૬૭ અને એક જ વિધાનસભા મતવિસ્તારમાં સ્થળાંતર માટે ૧૫૧૨ અરજીઓ એમ કુલ ૬૧,૦૪૭ અરજીઓ મળી હતી. આ ઝુંબેશ દરમિયાન ૧૮-૧૯ વયજુથના ૧૬,૩૫૬ નવા મતદારોએ ફોર્મ રજૂ કર્યા.

નોંધનીય છે કે નવેમ્બર માસના ચાર રજાના દિવસોમાં યોજાયેલ ઝુંબેશમાં સમગ્ર અમરેલી જિલ્લામાં ૫ વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ ઈઆરઓ તરીકે, ૧૨ વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ એઈઆરઓ તરીકે અને ૧૮ ખાસ ચૂંટણી ફરજ પરના વર્ગ-૨ ના એડિશનલ એઈઆરઓ તરીકે એમ કુલ ૩૫ જેટલા વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ ફરજ બજાવી હતી.

જિલ્લાના ૧૧ તાલુકાઓના કુલ ૮૬૨ સ્થળોએ ઉભા કરી ૧૪૧૧ બુથ ઉપર ૧૪૧૧ બીએલઓ અને ૧૩૧ સુપરવાઈઝરો મતદાર નોંધણીની પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા.

ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે મતદાર યાદી સુધારણા કાર્યક્રમને વધુ ૫ દિવસ લંબાવવામાં આવ્યો છે ત્યારે બહેતર ભવિષ્યના નિર્માણ અને સારા જનપ્રતિનિધિ ચૂંટવામાં લોકો મતાધિકાર ઉપયોગ કરે તે આવશ્યક છે. આમ, જો લોકોએ મતદાર યાદીમાં નામ નોધાવ્યું હશે તો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. હાલ સમગ્ર અમરેલી જિલ્લામાં ૧૮-૨૯ વયજૂથના બાકી રહેલા યુવાઓ ખાસ ઝુંબેશનો લાભ મેળવી પોતાનું નામ મતદાર યાદીમાં અચૂક નોંધાવી ‘મતદાર’ બને તે જરૂરી છે.

ઓનલાઈન નામ નોંધાવી ‘મતદાર’ બની શકો છો?

ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મોબાઈલ એપ ઉપરાંત www.voterportal.eci.in અથવા www.nsvp.in પર પણ મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાર બનવાની સાથે જ વોટર આઈડીમાં જરૂરી સુધારા પણ કરી શકો છો. 

ઓનલાઇન નામ નોંધાવવા માટે જો આધાર કાર્ડમાં યોગ્ય સરનામું યોગ્ય હોય તો અન્ય કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. અન્યથા બીજો કોઈ સરનામાંનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. તેમજ હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકો છો.

Related Posts