કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે પત્રકાર પરિષદ યજી કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં તેમના વિરોધી રહેલા શશિ થરૂરને શુભેચ્છા આપી છે. ખડગેએ કહ્યું કે હું મારા સાથી શશિ થરૂરને શુભેચ્છા આપવા ઈચ્છુ છું. હું તેમને મળ્યો અને ચર્ચા કરી કે પાર્ટીને કઈ રીતે આગળ વધારવામાં આવે. મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું કે હું પાર્ટી કાર્યકર્તાઓ તરફથી સોનિયા ગાંધીને ધન્યવાદ આપવા ઈચ્છુ છું. તેમના નેતૃત્વમાં અમે બે વખત કેન્દ્રમાં સરકાર બનાવી. આઝાદીના ૭૫ વર્ષમાં કોંગ્રેસે આ દેશના લોકતંત્રને મજબૂત કર્યું અને બંધારણની રક્ષા કરી છે. આજે લોકતંત્ર ખતરામાં છે અને બંધારણ પર હુમલા થઈ રહ્યાં છે. તેવામાં કોંગ્રેસે આંતરિક ચૂંટણી કરાવી લોકતંત્રને મજબૂત કર્યું છે. તેમણે કહ્યું કે આજે મોંઘવારી આસમાન પર છે. સરકાર દ્વારા દેશમાં નફરત ફેલાવવામાં આવી રહી છે.
તેની વિરુદ્ધ રાહુલ ગાંધી ભારત જાેડો યાત્રા પર નિકળ્યા છે. દેશ તેમના સંઘર્ષની સાથે છે. તેમણે મારી સાથે વાત કરી શુભેચ્છા આપી અને કહ્યું કે હું કોંગ્રેસના સિપાહી તરીકે કામ કરતો રહીશ. ખડગેએ કહ્યુ કે કોંગ્રેસમાં બધા બરાબર છે. અમારે બધાએ પાર્ટી કાર્યકર્તાઓની જેમ કામ કરવાનું છે, પાર્ટીમાં કોઈ કામ નાનુ કે મોટું હોતું નથી. અમારે સાંપ્રદાયિકતાની આડમાં લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલો કરનારી ફાસીવાદી તાકાતો વિરુદ્ધ એક થઈ લડવું પડશે. કેન્દ્ર પર હુમલો કરતા ખડગેએ કહ્યું કે દિલ્હીની સત્તામાં રહેલી સરકાર માત્ર મોટી વાતો કરે છે. ખોખલો ચણો, વાગે ઘણો. દેશને તાનાશાહ બનાવી શકાય નહીં. બધાએ રોડથી સંસદ સુધી લડવું પડશે. ગરીબ પરિવારમાં જન્મેલા એક કાર્યકર્તાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, તે માટે હું આભારી છું. નોંધનીય છે કે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. તેમાં મલ્લિકાર્જુન ખડગેએ મોટા અંતરથી જીત મેળવી છે. ખડગેને ૭૮૯૭ મત મળ્યા, જ્યારે શશિ થરૂરને ૧૦૭૨ મત મળ્યા છે. મલ્લિકાર્જુન ખડગે ૨૬ ઓક્ટોબરે કાર્યભાર સંભાળશે.
Recent Comments