સૌરાષ્ટ - કચ્છ

મહાશિવરાત્રીમાં મેળા વિસ્તારમાં કોઈ પ્રાણી આવે તો તેને રેસ્ક્યુ કરવા પાંજરા મુકાયા

મહા શિવરાત્રીનો મેળો યોજાવાનો છે તે ભવનાથની ૫૭ એકર જમીન ફરતે ગિરનાર વન્યપ્રાણી અભ્યારણ્ય આવેલું છે. ત્યારે મેળામાં આવનાર ભાવિકોએ ગિરનાર વન્યપ્રાણી અભ્યારણ્ય વિસ્તારના જંગલ વિસ્તારને કે વન્યજીવોને ખલેલ કે નુકસાન કરવું નહિ,પરવાનગી વગર પ્રવેશ કરવો નહિ, ફાયર આર્મસ, બંદૂક, કુહાડા, તલવાર,ધારીયા જેવા ઘાતક હથિયાર લઇ જવા નહિ, ધંધા કે જાહેરાત માટે છાવણી, તંબુ, રેકડી, સ્ટોલ રાખી શકાશે નહિ, વન્યપ્રાણીને ખલેલ પડે તેવી પ્રકાશવાળી યંત્ર સામગ્રી, ઘોંઘાટ થાય તેવા ટેપ,રેડીયો, ટીવી, લાઉડ સ્પિકર વગેરેનો ઉપયોગ કરવો નહિ, લાકડા કે ઘાંસ સળગાવી શકાશે નહિ, સ્ફોટક પદાર્થ કે ફટાકડા લઇ જઇ શકાશે નહિ તેમજ વન્યપ્રાણીઓને છંછેડવા નહિ તેવી તાકીદ કરાઇ છે.

તેમ છત્તાં આ નિયમોનું પાલન ન કરનાર સામે ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિમયમ હેઠળ કાર્યવાહી કરાશે. જાે કોઇ વન્યપ્રાણી દેખાય કે વન્યપ્રાણીની રંજાડની જાણ કરવા માટે તેમજ યાત્રાળુઓને વન વિભાગને લગતી માહિતી માટે વાઇલ્ડ લાઇફ હેલ્પ લાઇન ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર જારી કરાયા છે. આ ઉપરાંત સરદારબાગ ઇગલ વાયરલેસ કન્ટ્રોલ રૂમ ૦૨૮૫ ૨૬૩૩૭૦૦, ભવનાથ કન્ટ્રોલરૂમમાં વનપાલ યુ.જે ડાકી ૯૫૭૪૨૪૧૬૧૯, રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડુંગર દક્ષિણ રેન્જ ૭૫૬૭૩૦૬૧૬૪ તેમજ મહા શિવરાત્રી મેળો ૨૦૨૨ના લાયઝન ઓફિસર અને મદદનીશ વન સંરક્ષક જયંત પટેલનો ૯૫૭૪૪૪૧૪૪૪ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

મહા શિવરાત્રી મેળાને લઇ ૫૮ ના સ્ટાફને ડ્યુટી સોંપાઇ છે. આમાં ૨ ગેઝેટેડ ઓફિસર, ૧ લાયઝનીંગ ઓફિસર, ૧ વેટરનરી ડોકટર, ૧ ડોગ સ્ક્વોડ, સિંહોની હિલચાલ પર નજર રાખવા ટ્રેકર ટીમ તેમજ મેળામાં શંકાસ્પદ વ્યક્તિ ઇસમોની અવર જવર પર ચાંપતી નજર રાખવા માટે સર્ચ ટીમ અને ચેકીંગ ટીમને ડ્યુટી સોંપાઇ છે. કોઇ પણ ઘટના બને તો નેટવર્કના અભાવે તેની જાણ વન વિભાગને ન થાય તેવું ન બને અંને તુરત કોમ્યુનીકેશન થઇ શકે તે માટે ૨ સ્થળે વાયરલેસ સેટ કાર્યરત કરાયા છે. આમાં ઇગલ સરદાર બાગ અને ગિરનારમાં વાયરલેસ સેટ રાખવામાં આવ્યા છે. સિંહ સહિતના વન્યપ્રાણીઓની અવર જવર રહેતી હોય જરૂર પડ્યે બોરદેવી ખાતે સિંહ અને દિપડા માટે પાંજરૂં રખાશે જ્યારે ઇટવા ગેઇટ ખાતે પણ સિંહ અને દિપડા માટે પાંજરૂ ગોઠવાશે. જાે અચાનક કોઇ વન્ય પ્રાણી મેળા વિસ્તાર તરફ આવી ચઢે તો તંત્ર દ્વારા તુરંત રેસ્કયુની કામગીરી કરી શકાશે. મેળાને લઇ વન વિભાગ ૫ સ્થળે રાવટી રાખશે. આમાં અસાયબાપીર, પ્રેરણાધામ, રબારી નેસ, રૂપાયતન તેમજ મુખ્ય રાવટી વડલી ચોક સ્થિત કન્ટ્રોલરૂમ પાસે રહેશે. રાવટીમાં આરએફઓ, ફોરેસ્ટર તેમજ ૩ થી ૪ બીટગાર્ડની ડ્યુટી રહેશે.

મહા શિવરાત્રી મેળો જ્યાં યોજાવાનો છે તે વિસ્તારમાં સિંહ, દિપડા, મગર, વાંદરા જેવા પ્રાણીઓ આવી ચડે તો તેને રેસ્ક્યુ કરી શકાય તે માટે ૧૦ પાંજરાને સ્ટેન્ડ બાય રખાયા છે. આ અંગે મેળાના લાયઝન અધિકારી અને એસીએફ જયંત પટેલે જણાવ્યું હતું કે, ભવનાથમાં આવેલ ૫૭ એકર વાળી રેવન્યુ જમીન વિસ્તારમાં તા. ૨૫ ફેબ્રુઆરી મહાવદ નોમથી લઇને ૧ માર્ચ મહાદવ તેરસ સુધી મહા શિવરાત્રીનો મેળો યોજાવાનો છે.આ મેળામાં ૮ થી ૧૦ લાખ ભાવિકો ઉમટી પડતા હોય છે. જ્યાં મહા શિવરાત્રીનો મેળો યોજાવાનો છે તે વિસ્તારમાં આ હિંસક વન્યપ્રાણી આવી ન ચડે તેની ખાસ કાળજી રખાશે. તેમ છત્તાં કોઇ વન્યપ્રાણી આવી ચડે તો પણ કોઇ ભાવિકોને ઇજાગ્રસ્ત ન બનાવે તેમજ કોઇ ભાવિકો વન્યપ્રાણીને હેરાન ન કરે તે માટે વન વિભાગ દ્વારા ખાસ તકેદારી રખાઇ રહી છે. ખાસ કરીને સિંહ, દિપડા, મગર, વાંદરા વગેરે આવી ચડે તો તેનું રેસ્ક્યુ કરવા માટે ૧૦ પાંજરા સ્ટેન્ડ બાય રખાયા છે. હાલ આ ૧૦ પાંજરાને ભવનાથ રેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવ્યા છે.બાદમાં અન્ય સ્થળો કે જ્યાં વન્યપ્રાણીઓની અવર જવરની સંભાવના હોય ત્યાં ગોઠવી દેવાશે. આમ, મહા શિવરાત્રી મેળાને લઇ વન વિભાગે પણ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.

Related Posts