સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ દર્દીઓની સારવાર માટે ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. જાેકે શહેરમાં કોરોના કેસ અને મૃત્યુઆંકમાં આંશિક રાહત જાેવા મળી રહી છે. રાજકોટ શહેરમાં તાજેતરમાં યોજાયેલી મનપાની ચૂંટણીમાં જનતાએ ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરોને ચૂંટી વિજેતા બનાવ્યા છે. ત્યારે ભાજપના ૬૮ કોર્પોરેટરોએ કંઇ ન કર્યુ તે કોંગ્રેસના માત્ર ૪ કોર્પોરેટરોએ કરી બતાવ્યું છે અને ખરા અર્થમાં નગરસેવક સાબિત થયા છે.

રાજકોટ મનપાની ચૂંટણીમાં ૧૮ વોર્ડ પૈકી માત્ર વોર્ડ નંબર ૧૫ને બાદ કરતાં તમામ વોર્ડમાં ભાજપના નગરસેવકો ચૂંટાઇને વિજેતા બન્યા છે. હાલ રાજકોટ મનપામાં ભાજપના ૬૮ અને કોંગ્રેસના ૪ કોર્પોરેટર છે. જાેકે આ મહામારીના સમયમાં સત્તાધારી પક્ષ ભાજપ હોવા છતાં ૬૮ કોર્પોરેટર ન કરી શક્યા તે માત્ર ૪ કોર્પોરેટરે કરી બતાવ્યું છે. રાજકોટ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ચૂંટાયેલા ૪ કોર્પોરેટર વશરામ સાગઠીયા, મકબુલ દાઉદાણી, ભાનુબેન અને કોમલબેન જનતાના આરોગ્ય માટે રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

રાજકોટ વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ સાથે મળી જનતાની ખરા અર્થમાં જરૂરિયાત સમયે સેવા કરવા નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે તેઓને મળતી ગ્રાન્ટ પૈકીની રૂપિયા ૨.૫૦ લાખની રકમ એટલે કે ચાર કોર્પોરેટરની કુલ ૧૦ લાખની ગ્રાન્ટની રકમ જનતાના આરોગ્ય માટે ફાળવણી કરી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ દવા, ઇન્જેક્શન, ઓક્સિજન, ટેસ્ટિંગ કીટ કે દવા ખરીદ કરવા માટે લેવા સૂચન કરવામાં આવ્યું છે.

રાજકોટ ભાજપના ૬૮ કોર્પોરેટરો કે જેમાં સત્તાધીશો એટલે કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદેદારોનો પણ સમાવેશ થાય છે. આ મહામારી વચ્ચે ભાજપના એક પણ કોર્પોરેટરોએ આજ દિન સુધી પોતાને મળતી ગ્રાન્ટની એક પણ રકમ લોકોના આરોગ્ય માટે ફાળવી નથી જે એક શરમજનક બાબત છે.

Related Posts