સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૨થી ૨૦ ટકાના વ્યાજે ૭.૪૦ કરોડ લેનારને ૧૦ વ્યાજખોરે ઉઘરાણી કરી ધમકી આપી

૧૦ વ્યાજખોર પાસેથી ૨થી ૨૦ ટકાના વ્યાજે ૭.૪૦ કરોડ રૂપિયા લેનાર અંબિકા ટાઉનશિપમાં રહેતા દર્પણ મનસુખભાઇ મણવર નામના યુવાન પાસે વધુ નાણાં પડાવવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. એસબીઆઇના જનરલ ઇન્સ્યોરન્સમાં સર્વેયર તરીકે નોકરીની સાથે પ્રીમિયમ ગાડીઓ લઇ વેચાણ કરતા દર્પણભાઇની ફરિયાદ મુજબ, ધંધામાં ખેંચ આવતા તેને ભાવિક ગોવાણી, અંકિત ઉર્ફે બંટી ખંઢેરિયા, હર્ષદ ઉર્ફે મામા સોરઠિયા, રાજ મોરી, વિશ્વરાજસિંહ ચુડાસમા, જીતુ ભલાણી, આશિષ ગોસ્વામી, હિરેન નથવાણી, મનીષ મગન કણસાગરા, હેમલ અશોક મણવર નામના વ્યાજખોરો પાસેથી કુલ રૂ.૭.૪૦ કરોડ ૨થી ૨૦ ટકાના વ્યાજે લીધા હતા.

દસેય વ્યાજખોરો પાસેથી તોતિંગ વ્યાજે નાણાં લીધા બાદ તમામને કુલ રૂ.૪,૯૨,૩૦,૦૦૦ની રકમ ચૂકવી પણ આપી છે. ઉપરોક્ત તમામ વ્યાજખોરોને સમયસર વ્યાજની રકમ ચૂકવવા છતાં તેઓ પોતાની પાસેથી વધુ નાણાં પડાવવા માટે ઘરે આવી ધમકીઓ આપી પરિવારના સભ્યો પર દબાણ લાવી વ્યાજ અને મુદલ રકમ વસૂલવાની માગણી કરી પરેશાન કરી રહ્યા છે. અને જાે રકમ નહિ ચૂકવો તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે. દરમિયાન વ્યાજખોરો સામેની ઝુંબેશ પોલીસે શરૂ કરતા તમામ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટ તાલુકાના ત્રંબા ગામે રહેતા અરજણભાઇ નાથાભાઇ માટિયા નામના પ્રૌઢે સરધાર ગામે રહેતા વ્યાજખોર પેથા મયા સુસરા સામે ફરિયાદ નોંધાવી છે.

નાણાકીય જરૂરિયાત ઊભી થતા પેથા સુસરા પાસેથી ૨૦૧૮માં ૫ ટકાના વ્યાજે રૂ.૧૪ લાખ લીધા હતા. જેનું દર મહિને રૂ.૭૦ હજાર વ્યાજ ચૂકવતા હતા. ૧૨ મહિના સુધી વ્યાજ ચૂકવ્યા બાદ વધુ જરૂરિયાત ઊભી થતા વધુ ૫ લાખ લીધા હતા. બંનેનું ચાર મહિના સુધી ૧ લાખ વ્યાજ ચૂકવ્યું હતું. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે કેટલાક સમયથી વ્યાજ આપી નહિ શકતા ઘરે આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો ભાંડી પત્ની, પુત્રોને મારી નાખવાની ધમકી આપતો રહેતો હતો. અને કહેતો કે હજુ તારે ૪૦ લાખ રૂપિયા આપવા પડશે. ધમકીથી ગભરાઇ પોતે પુત્ર સાથે અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હતા.

Related Posts