કોરોનાની વૈશ્વિક મહામારી ગુજરાતમાં લાગુ પડી ત્યારથી સતત લોકડાઉન, અનલોક અને રાત્રિ કફ્ર્યૂ લાદવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઉંચા કરવેરા અને મોંઘવારીના કારણે લોકોની આર્થિક હાલત અત્યંત કફોડી બની રહી છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે કે, સવારના ૮થી રાતના ૮ વાગ્યા સુધી ધંધા-રોજગાર કરવાની લોકોને છૂટ આપવામાં આવે. તેમજ રાત્રિ કફ્ર્યૂનો સમય રાતના ૮ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાનો કરવામાં આવે.
રાજકોટમાં ૧ લાખ વેપાર-ધંધાનું પ્રતિનિધિત્વ કરતી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે અને ૨૧ હજાર કારખાનાઓના સંગઠન રાજકોટ એન્જિનિયરિંગ એસોસીયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિવસના બપોરે ૩થી લોકડાઉન દૂર કરીને સવારે ૮થી રાત્રે ૮ સુધી લોકોને ધંધા-રોજગારની છૂટ આપવા ભારપૂર્વક માગણી સાથે રજૂઆત કરી છે. સતત લોકડાઉન અને રાત્રિ કફ્ર્યૂને કારણે વેપારીઓની આર્થિક કમર ભાંગી ગઇ છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ગઇકાલે ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ અલગ ૫ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધંધા-રોજગરનો સમય રાત્રિના ૮ વાગ્યા સુધી કરવામાં આવે, જ્યારે હોટેલ-રેસ્ટોરન્ટને ૯ વાગ્યા સુધી છૂટ છે તેને ૧૧ વાગ્યા સુધી છૂટ આપવામાં આવે, રાત્રિ કફ્ર્યૂનો સમય ૧૦ વાગ્યાનો કરવામાં આવે અને ઇન્ડસ્ટ્રીયલ વાહનોમાં ૫૦ ટકાના બદલે ૭૦ ટકા સ્ટાફને લઇ જવા છૂટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જેમાં સરકાર હકારાત્મક વલણ દાખવશે તેવી આશા છે.
Recent Comments