અમરેલી

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળાના આચાર્યઓની તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા અન્વયે તાલીમ યોજાઈ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી-વ-નોડલ અધિકારીશ્રી અને ઈએમઓશ્રી-વ-ડિસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ (ટોબેકો કંટ્રોલ) તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા વાઈઝ તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાના ૭૭૫ આચાર્યશ્રીઓની તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા અન્વયે તાલીમ યોજવામાં આવી હતી.  જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સેલરશ્રી રીયાઝભાઈ મોગલ દ્વારા તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાનું અમલીકરણ, ધુમ્રપાન અને તમાકુના સેવનથી થતા રોગો તથા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક અસરો, વ્યસન મુક્તિ, તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ વગેરે વિષયક વિસ્તૃત ચર્ચા કરી જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

આ ઉપરાંત તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. અમરેલી જિલ્લાની  પ્રાથમિક શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુની બનાવટોનું વેચાણ ન થાય તે માટે તકેદારી રાખવા શું કરી શકાઈ તે વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકરશ્રી નરેશભાઈ જેઠવા ઉપરાંત ડી.વાય.આઈ.ઈ.સી શ્રી સંજયભાઈ લહેરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી-વ-નોડલ ઓફિસરશ્રી (ટોબેકો કંટ્રોલ)ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts