ગુજરાત

રાહુલ ગાંધીજીની “ભારત જોડો ન્યાય યાત્રા” ૭ માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાતમાં રહેશે.

આદરણીય રાહુલ ગાંધીજીની “ભારત જોડો ન્યાય યાત્રા” ૭ માર્ચ, ૨૦૨૪, ગુરૂવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને ૮ માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે. ચાર દિવસ સુધી ગુજરાતમાં “ભારત જોડો ન્યાય યાત્રા” રહેવાની છે, તેની તૈયારીની સમીક્ષારૂપે દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ગુજરાતના પ્રભારીશ્રી મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકી, શ્રી જગદીશભાઈ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં “ભારત જોડો ન્યાય યાત્રા”ને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળે છે.

ગુજરાતના લોકોની અનેક સમસ્યાઓ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફીક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સીંગ દ્વારા થતા શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓને “ભારત જોડો ન્યાય યાત્રા” દરમ્યાન વાચા આપવામાં આવશે. ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને કારણે નવા જ બનેલા બ્રીજ તૂટે છે, નકલી સરકારી કચેરીઓ દ્વારા લોકહિતના કરોડો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ તૂટી પડી છે, સરકારી નોકરીઓના પેપરો સતત ફૂટે છે અને તેના મૂળ ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓમાં નીકળતા દેખાઈ રહ્યા છે. આ બધી જ સમસ્યાઓને આદરણીય રાહુલ ગાંધીજીની “ભારત જોડો ન્યાય યાત્રા”માં ઉજાગર કરીને લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે.

Related Posts