દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે વચ્ચે મુસાફરી કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે. એક્સપ્રેસ વેના કામ અંગે કેન્દ્રીય મંત્રી દ્વારા સંસદમાં માહિતી આપવામાં આવી છે. આ એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી મુંબઈ સુધીની મુસાફરી પૂર્ણ કરવામાં કેટલો સમય લાગી શકે છે? તે અંગેની માહિતી સામે આવી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં માહિતી આપી છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું ૮૨ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે એમ પણ કહ્યું છે કે એક્સપ્રેસ વે પરનું બાકીનું કામ પણ ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વેની કુલ લંબાઈ ૧૩૮૬ કિલોમીટર છે. જે સ્પર્સ સહિત ૫૩ પેકેજમાં બનાવવામાં આવી રહી છે. જેમાંથી ૨૬ પેકેજ પૂર્ણ થયા છે અને અન્ય પર કામ ચાલી રહ્યું છે. કુલ ૧૧૩૬ કિલોમીટરનું બાંધકામ કરવામાં આવ્યું છે. જે પછી તેની સુધારેલી સુનિશ્ચિત પૂર્ણતાની તારીખ ઓક્ટોબર ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે.
એકવાર એક્સપ્રેસ વે શરૂ થયા બાદ લોકોને બે મેટ્રો વચ્ચે મુસાફરી કરવામાં ઓછો સમય લાગશે. છ રાજ્યોને તેનો લાભ મળશે. આ રાજ્યોમાં દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ એક્સપ્રેસ વે આ રાજ્યોના દિલ્હી, ફરીદાબાદ, અલવર, દૌસા, કોટા, મંદસૌર, રતલામ, દાહોદ, ગોધરા, વડોદરા, સુરત, વલસાડ, વાપી, વિરાર અને મુંબઈને જાેડશે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હીના મહારાણી બાગથી શરૂ થશે અને મહારાષ્ટ્રમાં જેએનપીટી પહોંચશે. તેને આઠ લેન બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ ભવિષ્યમાં તેને ૧૨ લેન સુધી વધારી શકાય છે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૧ લાખ કરોડ રૂપિયા છે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર માત્ર ૧૨ કલાકમાં કવર કરી શકાય છે.
Recent Comments