અમરેલી ખાતે ઉજવાયો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો ૧૨૫ મો જન્મ જયંતિ મહોત્સવ-જિલ્લાભરના ગ્રંથાલયને મેઘાણી પુસ્તકો અર્પણ કરાયા-લોક કલાકારોએ પીરસ્યો મેઘાણી ગીતોનો રસથાળ
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલી ખાતે રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિના રાજ્યવ્યાપી કાર્યક્રમ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી જાડેજાએ લોકસાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીના પ્રદાનને અમૂલ્ય અને સર્વોત્તમ ગણાવ્યું હતું. અને ઉમેર્યું હતું કે ઝવેરચંદ મેઘાણીએ ગામડા-નેસડા-પહાડો ખૂંદીને જે લોકસાહિત્યનો સંચય કર્યો છે, તે ગુજરાતી સાહિત્ય માટે અણમોલ વારસા સમાન છે. ભવિષ્યની પેઢીને આ વારસામાંથી ઘણું શીખવા મળશે. ઝવેરચંદ મેઘાણીના જીવનની ટૂંકી રૂપરેખા રજૂ કરતાં મંત્રી ધર્મેન્દ્રસિંહજીએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમરેલી જિલ્લામાં આવેલા મુખ્ય ગ્રંથાલયોને મેઘાણી રચિત દસ પુસ્તકોના સેટ અર્પણ પ્રદાન કરાયા હતા. અમરેલીના જાણીતા લોકકલાકારો નાથુદાન ગઢવી, વિજય દાન ગઢવી તથા કાજલબેન પટેલે ઉપસ્થિતોને મેઘાણી ગીતોની રસથાળ પીરસ્યો હતો, જેને ઉપસ્થિત સૌએ મનભરીને માણ્યો હતો.
રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર, અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી શુભારંભ થયો હતો. ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોથી આમંત્રીતોનુ સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અગ્રણી ભાવનાબેન ગોંડલીયા તથા મેઘાણી સાહિત્યના ભાવકજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments