ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારી રહ્યાં છે. વડાપ્રધાનશ્રી ભાવનગરમાં જંગી મેદનીને સંબોધવાના છે. આ ઉપરાંત તેઓ એક રોડ- શોમાં પણ કરવાના છે.
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ આજે બપોરે મહિલા કોલેજ થી રૂપાણી સર્કલ સુધી વડાપ્રધાનશ્રીના રોડ- શો ના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા તેમજ વિવિધ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
બંન્ને મંત્રીશ્રીઓ રોડ પર આવતાં વિવિધ સર્કલો ખાતે શહેરમાં વડાપ્રધાનશ્રીને જોવાં અને સાંભળવાં આવનાર લોકોની વ્યવસ્થા, વિવિધ સજાવટ, પરંપરાગત રીતે સ્વાગત, વિવિધ મંડળીઓ દ્વારા રાસ- ગરબા વગેરેની તૈયારીઓનું નીરિક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને તે અંગેનું માર્ગદર્શન પણ આપ્યું હતું.
ત્યારબાદ બંન્ને મંત્રીશ્રીઓએ જ્યાં વડાપ્રધાનશ્રીની સભા યોજાવાની છે તે જવાહર મેદાન ખાતે જઇને વિવિધ તૈયારીઓ જેવી કે, પાર્કિગ, સભાસ્થળ ખાતે બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, વી.આઇ.પી. અને વી.વી.આઇ.પી. વ્યવસ્થા સહિતની તૈયારીઓની સ્થળ પર જ સમીક્ષા કરી હતી.
તેમની આ મુલાકાતમાં તેમની સાથે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા ભા.જ.પા.ના અધ્યક્ષશ્રી મુકેશભાઇ લંગાળિયા, શહેર ભા.જ.પા. અધ્યક્ષશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments