ગુજરાત

સરકાર કોરોનામાં થયેલા મોતના સાચા આંકડા છુપાવી રહી છે: પાટણ કોંગ્રેસ સમિતિ

પાટણના જુના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસભા અને રાજ્યસભામાં નિવેદન આપવામાં આવ્યું હતું કે કોરોના મહામારીમાં લોકડાઉન સમયે કોંગ્રેસ દ્વારા શ્રમિકોને તેમના વતનમાં જવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આ નિવેદનને કોંગ્રેસ દ્વારા પાયાવિહોણું ગણવામાં આવ્યું હતું.

તેમજ ભાજપ દ્વારા જ વિદેશમાં રહેતા લોકોને સ્પેશિયલ વિમાન મારફત ભારતમાં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમ જ તેમના દ્વારા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરીને કોરોના મહામારી ફેલાવવાનું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દેશમાં કોરોનામાં થયેલો મોતના સાચા આંકડા છુપાવી રહી છે. હકીકતમાં લાખો લોકોના કોરોના મહામારીમાં મોત થયા છે. ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા કોરોના મહામારીમાં ૧૦ હજાર લોકોના મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યુ છે. વાસ્તવિક માં એક લાખથી વધુ લોકોએ કોરોના મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાની સહાય માટે અરજીઓ કરી છે.

જેમાંથી ૮૯ હજાર ૬૩૩ અરજીઓ મંજૂર કરાઇ છે. ૧૫ હજાર ૧૮૫ જેટલી અરજીઓ પેન્ડિંગ છે અને ૫૦૦૦ જેટલી અરજીઓ રદ કરવામાં આવી છે. ૧૧ હજાર જેટલી અરજીઓ હાલમાં પ્રોસેસમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેકનિકલ કારણો ઉભા કરીને ભાજપ સરકાર લોકોને સહાય ચૂકવતી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટપણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને સહાય ચૂકવવા માટેની ભલામણ કરી છે. સરકાર દ્વારા હાલમાં જે ૫૦ હજારની સહાય ચુકવવામાં આવે છે તે સાવ નજીવી હોઈ કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને ૪ લાખની સહાય ચૂકવવા માટેની માંગણી કરવામાં આવી રહી છે.

તેમજ કોંગ્રેસ પોતાની માંગણી પર અડગ છે તેવું તેમણે જણાવ્યું હતું. યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, ઉપપ્રમુખ રામસંગજી જાડેજા ,પાટણ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા વિગેરે કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts